નવસારી:ગણદેવી તાલુકાના ધકવાડા ગામનું રામદેવપીર સખીમંડળની મહિલાઓનું આત્મનિર્ભરતા તરફ એક સશક્ત પગલું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજના સમયમાં મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ ખૂબ જ મહત્વનું બની ગયું છે. મહિલાઓ જો આત્મનિર્ભર બને તો તેઓ માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ આખા સમાજનું વિકાસચક્ર તેજ બનાવી શકે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ, ખાસ કરીને મિશન મંગલમ જેવી યોજનાઓ, ગામડાંની બહેનોને આત્મવિશ્વાસ સાથે પોતાના પગ પર ઉભા રહેવાની તક આપે છે. ધકવાડા ગામનું “રામદેવપીર સખીમંડળ” એ આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે, જે મહિલાઓના સંગઠિત પ્રયત્નોથી સફળતા હાંસલ કરી રહ્યું છે.

<span;>સખીમંડળ “રામદેવપીર સખીમંડળ”માં 10 સભ્યો છે. આ મંડળના પ્રમુખ હિરલબેન પટેલ છે. તમામ બહેનોએ વર્ષ 2021માં મિશન મંગલમ યોજના હેઠળ સખીમંડળમા જોડાયા હતા. સૌ પ્રથમ, તેઓએ દર મહિને ₹200ની બચત શરૂ કરી અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક – બીલીમોરામાં ખાતું ખોલાવ્યું હતું. આંતરિક ધિરાણની વ્યવસ્થા શરૂ કરી અને મંડળનું ગ્રેડિંગ કરાવ્યું હતું. જેના પગલે સરકાર તરફથી બહેનોની મહેનતને માન્યતા મળી અને રૂપિયા ૧૫૦૦૦નું રિવોલ્વિંગ ફંડ મળ્યું હતું. ત્યારબાદ રૂપિયા ૦૩ લાખની કેશ ક્રેડિટ લોન મેળવી હતી.
રામદેવપીર સખીમંડળ છેલ્લા ૦૨ વર્ષથી રાખડી બનાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. રાખડી વેચાણ દ્વારા દર વર્ષે અંદાજે ₹10,000 થી ₹12,000 સુધીની આવક મેળવે છે. બહેનો દ્વારા રાખડી સિવાય હિરલબેન હેન્ડમેઇડ જ્વેલરી, તોરણ, કપડા જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે.
આ તમામ પ્રોડક્ટને રાજ્ય સ્તરના સરસમેળા, જિલ્લા સ્તરના મેળા તથા ધાર્મિક મેળાઓમાં વેચાણ અને પ્રદર્શન કરી આવક મેળવી રહ્યા છે. આ આર્થિક પ્રવૃત્તિ દ્વારા સખીમંડળની બહેનોને ઘર બેઠા નિયમિત કાર્ય અને રોજગારી મળી રહી છે. જેનાથી ગામની મહિલાઓમાં આત્મનિર્ભરતા અને ઉદ્યોગસાહસિકતા વધી છે. આ બહેનોથી પ્રેરિત થઇ અન્ય બહેનો પણ સખી મંડળમા જોડાઇ રહી છે અને આર્થીક રીતે પગભર બની પરીવારને મદદરૂપ થઇ રહી છે.
સરકાર અને સ્થાનિક વિભાગોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હિરલ બહેને જણાવ્યું હતું કે, સખી મંડળે ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવાનો અવસર આપ્યો છે. અમારી મંડળની બહેનો ઘરના કામકાજ સાથે આવકનું સશક્ત સ્ત્રોત ઊભું કરી રહી છે. અમે વચન આપીએ છીએ કે અમારી કામગીરીને વધુ પ્રગતિશીલ બનાવશું અને અન્ય બહેનોને પણ ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરિત કરીશું. મિશન મંગલમ યોજના અને રિવોલ્વિંગ ફંડના સહકારથી આજે અમારા મંડળે નવી ઓળખ બનાવી છે. અમારા સખીમંડળની બહેનોને રોજગારી અને આવકનું સશક્ત માધ્યમ પ્રાપ્ત કરાવવા બદલ અમે સરકારશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર માનીએ છીએ.
નોંધનિય છે કે, કેંદ્ર સરકાર દ્વારા “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત નવસારી જિલ્લાના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં જે રાખી સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે તેનું સંચાલન પણ ‘રામદેવપીર સખીમંડળ’ જ કરી રહ્યું છે. જેનાથી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને સારી આવક મેળવી રહ્યા છે.
નવસારી જિલ્લાના રામદેવપીર સખીમંડળે ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. બહેનોના સંગઠિત પ્રયત્નો, નિયમિત બચત, મહેનત અને સરકારના સહકારથી આજે નવસારી જિલ્લાના દરેક સખી મંડળ માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક રીતે પણ એક મજબૂત ઓળખ ઉભી કરી નવસારી જિલ્લાના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. આવનારા સમયમાં અનેક બહેનો સખીમંડળના માધ્યમ થકી નવા વ્યવસાયના અવસર ઉભા કરી જિલ્લા સહિત સ્વવિકાસમાં મહત્તવપૂર્ણ યોગદાન આપશે તેમા કોઇ બેમત નથી.




