શહેરા નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખનારાઓ સામે લાલ આંખ
૧૫ રહીશોને નોટિસ, નળ કનેક્શન કાપવા અને ફોજદારી કાર્યવાહી કરવાની સૂચના આપી
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરા નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ટીમલી ફળિયામાં જાહેરમાં કચરો નાખતા રહીશોને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સમજણ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં આવા કૃત્યથી દૂર રહેવા તાકીદ કરાઈ હતી. આ સાથે, જાહેરમાં ગંદકી કરતા ૧૫ જેટલા રહીશોને નોટિસ ફટકવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટીમલી ફળિયામાં કેટલાક રહીશો દ્વારા જાહેરમાં કચરો નાખીને ગંદકી કરવામાં આવતી હતી. આ બાબત નગરપાલિકાના ધ્યાનમાં આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમે સ્થળ પર જઈને રહીશોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રહીશોને જણાવ્યું હતું કે, કચરો હંમેશા નગરપાલિકાના વાહનમાં જ આપવો જોઈએ અને જાહેરમાં કચરો નાખીને પર્યાવરણને દૂષિત ન કરવું જોઈએ.
નોટિસ પાઠવતી વખતે નગરપાલિકા દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં જો ફરીથી કોઈ રહીશ જાહેરમાં કચરો નાખતા જણાશે, તો તેમના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે. આ ઉપરાંત, CRPC કલમ ૧૩૩ મુજબ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.