
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠના શ્રી સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમના દિવસે પરંપરાગત રીતે શ્રી સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવામાં આવી હતી. શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ વિવિધ સંતરામ મંદિરની ગાદીના મહંતશ્રીઓ દ્વારા બપોરી વિશેષ આરતી કરવામાં આવી હતી. આ મોટી સંખ્યામાં ભક્તો સહિત નગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા, આરતી બાદ જય મહારાજ ના નાદ સાથે ઉપસ્થિત લોકોએ સાકર-બોર વર્ષા કરી હતી જે નજારો જોઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાકર-બોર વર્ષા ના મહત્વ વિશે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલતુ થાય છે. આજે સંતરામ મંદિર ઉમરેઠ માં મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોએ સાકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાય લોકોએ બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં સાંકર બોર વર્ષા કરી હતી. કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે. સાકર વર્ષા નિમિત્તે આજે સંતરામ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોએ ભંડારામાં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.




