નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા કવચ: 1.55 કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ, આપઘાત રોકવાનો પ્રયાસ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત રોકવા માટે સુરક્ષા કવચ મૂકવાની કામગીરી શરૂ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા 1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવામાં આવી રહી છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, હાલમાં પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવી છે. ડિઝાઇનમાં જરૂરી ફેરફાર બાદ આગામી 10 દિવસમાં મટીરીયલની ચકાસણી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સંપૂર્ણ નેટ લગાવવામાં આવશે. નાગરિકોએ અગાઉ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રે કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોએ આ નિર્ણય બદલ વહીવટી તંત્રનો આભાર માન્યો છે. બ્રિજ પરથી વારંવાર નદીમાં કૂદીને આપઘાતના બનાવો બનતા હતા. સેફ્ટી નેટ લગાવવાથી આવા બનાવોમાં ઘટાડો થશે તેવી આશા સાથે નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.




