
પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે, વન્યજીવો અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ : મહંત શ્રી મહેશગીરી બાપુ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પર્યાવરણ- પ્રકૃતિના જાળવણી કરવા સંતોનો અનુરોધ ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા કારતક વદ -૧૧ એટલે કે દેવ દિવાળીના દિવસે તા.૧૨-૧૧-૨૦૨૪ના રોજ પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સાધુ સંતોએ પ્રતિબંધિત પ્લાસ્ટિક પરિક્રમર્થીઓને સાથે ન લાવવાની સાથે પાવની પરિક્રમા દરમિયાન કચરો – ગંદકી ન થાય તેની વિશેષ કાળજી લેવા ભાવિકોને અનુરોધ કર્યો છે.ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું કે, ગિરનાર લીલી પરિક્રમા પરમાત્મા સાથે એકાત્મ સાધવાની સાથે ગિરનારી મહારાજના આશીર્વાદ મેળવવાનો અવસર છે. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને માણીએ પણ આ પરમાત્માની પાવનભૂમિ છે તે પણ ક્યારેય ન ભૂલીએ. પરિક્રમા દરમિયાન વન્ય સંપદા અને પર્યાવરણ ને નુકસાન ન થાય તેની વિશેષ કાળજી રાખીએ. ઉપરાંત જ્યાં ત્યાં કચરો ગંદકી ન ફેલાવવા માટે શ્રી શેરનાથ બાપુએ ભાવિકોને અનુરોધ કર્યો હતો.શ્રી ગુરુ દત્તાત્રેય સંસ્થાન- ગિરનારના શ્રી મહેશગીરી બાપુએ ગિરનાર પરિક્રમા અર્થે પધારતા ભાવિકોને અનુરોધ કરતા કહ્યું કે, પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે, ભાવિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ તો ન જ કરવો સાથે જ અન્યને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રેરિત પણ કરવા જોઈએ. સાથે જ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે જેથી પ્રકૃતિને હાની ન પહોંચે. આ સાથે તેમણે કહ્યું કે, વન્ય જીવોની સુરક્ષા માટે પ્રશાસનના અધિકારી કર્મચારીઓ ખૂબ મહેનત કરતા હોય છે, ત્યારે આપણે પણ વન્ય જીવો અને પર્યાવરણના રક્ષણ અને જતનમાં સહભાગી બનીએ.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





