
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ – કલેક્ટરને આવેદનપત્ર
માળી સમાજના આરાધ્ય મહાન સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત તથા અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા માળી સમાજ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.આવેદનમાં ઉલ્લેખ કરાયો કે ફૂલે દંપતીએ પોતાના જીવનનો દરેક ક્ષણ પછાત, દબાયેલા અને શોષિત વર્ગને શિક્ષણ અને ન્યાય અપાવવા સમર્પિત કર્યો હતો. બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરએ પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ પોતાના પ્રેરણાસ્ત્રોત અને ગુરુ સ્વરૂપે માન્ય ગણાવ્યા હતા.જ્યોતિરાવ ફૂલેએ પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત બનાવીને દેશમાં મહિલા શિક્ષણની ક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા બની અને પ્રથમ મહિલા શાળા શરૂ કરી, બાદમાં વધુ 17 શાળાઓ સ્થાપી સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહિલાઓના અધિકારો, માન-સન્માન અને સમાનતાની લડતમાં આ દંપતીએ અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી.ગુજરાત સમસ્ત માળી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફૂલે દંપતીને ભારત રત્ન આપવા માંગ ઉઠાવવામાં આવી રહી છે. અરવલ્લીમાં પણ આ માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.મોડાસા રામી માળી સમાજના ચેરમેન અંજનાબેન રામીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર જ્યારે ભારત રત્ન અંગેનો નિર્ણય જાહેર કરશે, ત્યારે દેશના અતિ પછાત અને દબાયેલા વર્ગો સહિત માળી સમાજને સાચો ન્યાય મળ્યો ગણાશે.આવેદન પત્રમાં ગુજરાત રામી સમાજના ટ્રસ્ટી ડૉ.વાસુદેવભાઇરામી,રોહિતભાઈરામી,સુરેન્દ્રભાઈ,ગિરીશભાઇ,ઉપેન્દ્રભાઈ,ચંદ્રકાંતભાઈ,દેવાંગભાઈ,પ્રકાશભાઈ,આલોકભાઈ, ડૉ.કૃણાલ રામી સહિત સમાજના આગેવાનો,વડીલો અને મોડાસા માળી સમાજની મહિલાઓ જોડાઈ હતી.





