
બાળકોમાં પશુ પ્રત્યે સ્નેહ અને સેવાની લાગણી ઉભરાય અને માનવ જીવનમાં પશુઓની કેટલી ઉપયોગીતા છે તે સમજાવવા માટે માણાવદર લાયન્સ પ્રાઇમરિ સ્કૂલ તરફથી સ્થાનિક એક પ્રવાસરૂપે આ શાળામાં અભ્યાસ કરતા 200થી વધારે બાળકોને માણાવદરના વિશ્વવિખ્યાત એવા અનસુયા ગૌધામ સંચાલિત ગીરગાય સંવર્ધન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તથા અનસુયા અન્નક્ષેત્રમાં ચાલતા રસોડાઓમાં લઈ જઈ બાળકોને અન્નદાન વિષય અંતર્ગત માહિતગાર કરાયા હતા.બાળકોએ અનસુયા ગૌધામમાં સંવર્ધિત થઈ રહેલી ગીર નસલની અસલ દેશી ગાયો અને નાના નાના વાછરડાઓ સાથે આત્મીય ભાવ સાથે સહેજ બાળવૃતથી રમતો રમી હતી. બાળકોને ગીર ગાયો વિશેની સંપૂર્ણ માહિતી મેઘનાબેન શેઠ તથા હિતેનભાઈ શેઠ દ્વારા આપવામાં આવી હતી પંચગવ્યનું મહત્વ પણ મેઘનાબેન શેઠે સમજાવ્યું હતું. વિશેષ તો આ ગૌધામમાં સંવર્ધિત થઈ રહેલી નાનકડી એવી દક્ષિણની પુંગનૂર ગાયો સાથે બાળકોએ મજા મસ્તી કરી હતી. મેઘનાબેન શેઠે પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન બાબતે બાળકોને માહિતી આપી હતી. બાળકોએ ગૌધામમાં રાખેલા વિવિધ પક્ષીઓની પણ જાણકારી મેળવી બાળકોની સાથે આવેલા સ્કૂલના આચાર્ય ભાવિશાબેન રાવલે જણાવ્યું હતું કે માણાવદરમાં લોકોના મનોરંજન માટે તથા ફરવા માટેનું કોઈ સ્થળ હતું નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી અનસુયા ગૌધામની સ્થાપના થયા પછી આ ગૌધામ સ્થળ ફરવાલાયક કેન્દ્ર બન્યું છે. અનસુયા ગૌધામ તરફથી પ્રત્યેક બાળકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો ગૌધામની મુલાકાતથી બાલમાનસમાં ગાયો પ્રત્યે અહોભાવ જાગેલો જોવા મળ્યો હતો. શેઠ પરિવાર તરફથી લાયન્સ પ્રાઇમરી સ્કૂલના દરેક શિક્ષકોને ગૌ મહિમા અને ગૌવંદના પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





