Rajkot: માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તિકાઓને આવકારતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ
તા.૩૦/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત થતાં વિવિધ પુસ્તિકાઓ અમને ખૂબ ઉપયોગી નીવડે છે.” આ શબ્દો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વિદ્યાર્થીઓના…
માહિતી નિયામકની કચેરી દ્વારા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, દીપોત્સવી અંક સહિત વિવિધ પ્રકીર્ણ પ્રકાશન પ્રકાશિત કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીને ગુજરાત પાક્ષિક, લોક સંસ્કૃતિ અને કલા વૈભવ, વિકસિત ભારત વિકસિત ગુજરાત, આદિવાસી ઓળખ, વિકાસનું પંચામૃત, વન્યજીવન સહિત પુસ્તિકાઓ લાઇબ્રેરીને ભેટ કરવામાં આવી હતી. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થશે.
આ તકે વિદ્યાર્થી મિત્રોએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પુસ્તિકાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને ઉપયોગી બને છે. તેમની વાતમાં સુર પુરાવતા કોન્સ્ટેબલ, પી.એસ.આઈ પરીક્ષાની તૈયારી કરતા પારુલબેન વાલાણીએ કહ્યું હતું કે, ગુજરાત પાક્ષિક હું નિયમિત વાંચું છું. આ પાક્ષિકની અંદર રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓ સહિત વર્તમાન કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી મળે છે. અન્ય એક વિદ્યાર્થી પ્રશાંતભાઈ ગ્રાંભડીયાએ કહ્યું કે, તાજેતરમાં જ મેં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પુસ્તિકાઓ મને આવી વિવિધ પરીક્ષાઓમાં ઉપયોગી બને છે. આમ વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકો માટે પણ માહિતી વિભાગના વિવિધ પ્રકાશનો જ્ઞાનકુંજ બની રહ્યાં છે.