આણંદમાં મનરેગા યોજનાના લોકપાલની નિમણૂક સુનિલકુમાર વિજયવર્ગીયએ ચાર્જ સંભાળ્યો
આણંદમાં મનરેગા યોજનાના લોકપાલની નિમણૂક સુનિલકુમાર વિજયવર્ગીયએ ચાર્જ સંભાળ્યો
તાહિર મેમણ – આણંદ – 22/09/2025 – આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી મનરેગા યોજના હેઠળ લોકપાલ તરીકે સુનિલકુમાર રામસ્વરૂપ વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેમણે આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. વિજયવર્ગીય હાલમાં ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં ક્રિમિનલ કોર્ટ અને ફેમિલી કોર્ટના એડવોકેટ તરીકે કાર્યરત છે. તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરીનું નિરીક્ષણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી આ એજન્સીના ચેરમેન તરીકે કામગીરી કરે છે. ગ્રામ પંચાયત કક્ષાએ થતાં કામોની દેખરેખ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાખવામાં આવે છે.
મનરેગાના શ્રમિકોના વેતનનું ચુકવણું આધાર બેઇઝ એમઓઆરડી ડિપાર્ટમેન્ટ, દિલ્હી દ્વારા કરવામાં આવે છે. માલસામાન ખરીદીનું ચુકવણું રાજ્ય કક્ષાએથી ગાંધીનગરથી થાય છે.
શ્રમિકોને વેતન ન મળવું, ઓછું વેતન મળવું કે અન્ય કોઈ સમસ્યા માટે લોકપાલનો સંપર્ક કરી શકાશે. કોઈપણ વ્યક્તિ સુનિલકુમાર વિજયવર્ગીયને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડી બ્લોક, ચોથો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે રૂબરૂ મળી શકે છે. લેખિત ફરિયાદ પણ કરી શકાય છે.