બાળકોની સામે જ પતિએ ચપ્પુથી પત્નીનું ગળુ કાપી હત્યા કરી

સુરતમાં રોજ-બરોજ હત્યા, લૂંટ જેવી ઘટનાઓ વધી રહી હોય તેમ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી છે. રાત્રે સુતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરાઈ હતી. રૂમમાં બે દીકરીઓની નજર સામે જ પત્નીની ઢીમ ઢાળી દીધું હતું. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને મૃત જાહેર કરાઈ હતી. બનાવને પગલે ગોડાદરા પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ તેમજ ત્રણ વર્ષ અને આઠ વર્ષની બે દીકરી હતી. જયસુખભાઈ ક્યારેક ક્યારેક જ છૂટક મજૂરી જતા હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોલી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.
પરિવાર દ્વારા રાત્રે સંયુક્તમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા હતા. ત્યારે નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ જયસુખભાઈ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું. જેના પગલે રૂમ લોહી લુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહી લુહાણ જોતા બુમાબુમ કરી હતી. આ અંગે તાત્કાલિક ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નમ્રતાની હત્યા કરનાર તેના પતિ જયસુખ વાણીયાની ગોડાદરા પોલીસે ધરપકડ કરી હતી
હત્યારા પતિ જયસુખની પોલીસે પૂછપરછ અને તેની હત્યા કરવા પાછળ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા પણ મોટાભાગે કામ પર ન જતા હતા. ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા અને દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. પતિના આવા વ્યવહારને કારણે એકવાર નમ્રતાબેન પિયર પણ જતી રહી હતી. ત્યારબાદ સમાધાન બાદ પરત આવી હતી. પતિ કમાતો ન હોવાથી નમ્રતાબેન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા. ત્યારે નમ્રતા સાંજે જયસુખભાઈ બાજુમાં કામ કરતા હતા ત્યાંથી લેવા ગયા હતા. ત્યારબાદ બધા સાથે જમ્યા હતા અને સુવા ગયા બાદ બંને વચ્ચે ફરી ઘર કંકસને લઇ મધરાત્રે ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવીને પત્નીનું તેમની બે દીકરીની સામે ગળુ કાપી હત્યા કરી નાખી હતી.




