વિસાવદર નગરપાલિકા ખાતે વિસાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી દયાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં ‘‘સ્વચ્છોત્સવ’’ ની થીમ ઉપર આધારિત વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.વિસાવદર નગરપાલિકામાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ અભિયાનનો આરંભ થયો હતો. જે અંતર્ગત આજ રોજ વિસાવદર માં બસસ્ટેન્ડ, જીઈબી કોલોની, મેઈન બજાર વિસ્તારમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી એમ.એમ.વાઘેલા, નગરપાલિકાનો તમામ સ્ટાફ અને શહેરીજનો સહભાગી બન્યા હતા.ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૧૪ થી રાષ્ટ્રવ્યાપી ‘‘સ્વચ્છ ભારત મિશન’ ’નો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ‘‘નિર્મળ ગુજરાત ૨.૦’’ અને આગામી ‘‘સ્વચ્છતા સર્વેક્ષણ’’ ને ધ્યાનમાં રાખીને ‘‘સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫’’ અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાન આજ થી આગામી તા.૩૧ ઓક્ટોબર એટલે કે ત્રણ પખવાડિયા સુધી યોજાશે. તે અંતર્ગત સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટસ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ