આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ – AGAS નું 22મું અધિવેશન ગોઝારિયા કૉલેજમાં યોજાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કેવળ વિદ્યાકીય પ્રવૃત્તિઓને વરેલા આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ – AGAS નું 22મું અધિવેશન આગામી શનિવાર ને તા. 2/3/24ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયાના યજમાનપદે યોજાઈ રહ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ સંલગ્ન કોલેજોના ગુજરાતી વિષયના અધ્યાપકોનો સંઘ એટલે આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ. અગાસ ‘ ના ટૂંકા નામે ઓળખાતા આ સંઘ દ્વારા દર વર્ષે બી.એ. અને એમ.એ. ના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે વિવિધ વ્યાખ્યાનમાળાઓ અને અભ્યાસ શિબિરો યોજવામાં આવે છે. વર્ષના અંતે કોઈ પણ યજમાન કૉલેજમાં અધ્યાપકોનું વાર્ષિક અધિવેશન યોજવામાં આવે છે.
અગાસના મંત્રી યશોધર હ. રાવલ જણાવે છે કે, આ 22મા અધિવેશનમાં ગુજરાતના નામાંકિત સંશોધક, સર્જક અને વિવેચક ડૉ. બળવંત જાની ઉપસ્થિત રહીને ‘ મારી સંશોધન યાત્રા ‘ વિશે તેમની કેફિયત રજૂ કરશે. ઉપરાંત, ‘ અર્ઘ્ય ‘- ની બેઠકમાં પાંચ અધ્યાપકો કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક અને નિબંધ સ્વરૂપની કૃતિઓ વિશે તેમનો સ્વાધ્યાય પ્રસ્તુત કરશે. અગાસના વર્તમાન પ્રમુખ પ્રિ. ડૉ. નરેશ પટેલ ‘ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં ભારતીયતા ‘ વિષય પર પ્રમુખીય વ્યાખ્યાન આપશે.અગાસના અન્ય મંત્રી ડૉ. સતીશ પટેલ જણાવે છે કે, અધિવેશન દરમિયાન ગત વર્ષે પીએચ.ડી. થયેલા વિદ્યાર્થીઓ – અધ્યાપકોનું, પીએચ. ડી. માર્ગદર્શકોનું, વયનિવૃત્ત અધ્યાપકોનું , વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા અધ્યાપકોનું અને નવનિયુકત થયેલા અધ્યાપકોનું સન્માન કરવામાં આવશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બી.એ. અને એમ.એ. માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવેલા બે વિદ્યાર્થીઓને ‘ યશોધર હ. રાવલ પુરસ્કાર ‘ રૂપે રૂ. 2500/- ( બંનેને ) સાથે સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવશે.અગાસના પ્રમુખ,મંત્રીઓ, ઉપ પ્રમુખો અને યજમાન કોલેજના આચાર્ય રાજેન્દ્રસિંહ વાઘેલા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સહુ અધ્યાપકોને અધિવેશનમાં ઉપસ્થિત રહીને અગાસના આ વિદ્યાકીય યજ્ઞમાં જોડાવા આમંત્રણ આપ્યું છે