ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક રુંઢ ગામે નર્મદામાં તણાઇને આવેલ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક રુંઢ ગામે નર્મદામાં તણાઇને આવેલ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
________________________________
મરનાર ઇસમનું મોંઢુ અને બન્ને હાથ કોઇ જળચર પ્રાણી ખાઇ ગયેલ હોવાનું જણાતા મૃતદેહની ઓળખ થઇ શકેલ નહી
________________________________
ઝઘડિયા તા.૨૮ ફેબ્રુઆરી ‘૨૫
_________________________________
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીકના રુંઢ ગામે નર્મદા નદીમાં તણાઇને આવેલ કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ જણાતા રાજપારડી પોલીસે મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ગતરોજ તા.૨૭ મીના રોજ રુંઢ ગામના ઓવારા પાસે નર્મદામાં કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. અંદાજે ૩૦ થી ૩૫ વર્ષની વયના જણાતા આ અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં આગળથી ખેંચાઇને તરતો આવ્યો હોવાનું જણાતા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પાણીમાંથી બહાર કઢાવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ અજાણ્યા ઇસમનું કોઇ અગમ્ય કારણોસર પાણીમાં ડુબી જવાથી મોત થયું હશે. મૃતદેહનું મોંઢુ અને બન્ને હાથ કોઇ જળચર પ્રાણીના ખાઇ જવાથી મૃતદેહ જર્જરિત હાલતમાં હોઇ તેની ઓળખ થઇ શકેલ નહી. ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરનો જણાતો આ ઇસમ કોણ અને ક્યાંનો છે,તે નર્મદા નદીમાં કોઇ કારણોસર ડુબી ગયો હતો કે પછી કોઇએ તેની હત્યા કરીને નદીમાં નાંખી દીધો હશે,હાલતો આ અજાણ્યા ઇસમના નર્મદામાંથી મળેલ મૃતદેહ બાબતે રહસ્ય સર્જાયું છે , જોકે પોલીસ તપાસ બાદ જ આ અજાણ્યા ઇસમના મૃતદેહ બાબતનું રહસ્ય ઉકેલાશે એમ હાલ તો જણાઇ રહ્યું છે.
ઈરફાનખત્રી
રાજપારડી


