
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનવા બદલ રાજ્યપાલશ્રીએ ડાંગ જિલ્લાને અભિનંદન પાઠવ્યાં*
*ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ને સામૂહિક ચિંતન કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી*
અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી, હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રામાયણનાં દંડકારણ્યનાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરી જનજાતિય સમાજને ગૌરવ અપાવ્યું છે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું અભિયાન વેગવંતું બન્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખેડૂતો અને નાગરિકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડી સ્વસ્થ રાખવાનો છે. ગુજરાત સરકારે ૫૦૦ ગામોને પ્રાકૃતિક ગામ બનાવવાનો નિર્ણય કર્યો છે.
રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો વિશે જાગૃત કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. જેના કારણે જ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે. જો આ પદ્ધતિ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં જમીન પથ્થર જેવી કઠણ થઈ જશે અને ખેતી માટે અયોગ્ય બની જશે.




