થરાદ બિઝનેસ એક્સ્પોનો ભવ્ય સમાપન સમારોહ, રવિવારે લાખોની જનમેદની ઉમટી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદમાં બિઝનેસને નવી દિશા અને ઓળખ આપવા હેતુસર જાગૃતિ નાગરિકો દ્વારા આયોજિત થરાદ બિઝનેસ એક્સ્પોનો આજે રવિવારે ભવ્ય રીતે અંત આવ્યો. એક્સ્પોના છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર થરાદમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
થરાદમાં બિઝનેસ કેવી રીતે વિકસે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને વેપારીઓને નવી ઓળખ મળે તે હેતુથી આ બિઝનેસ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોનું ઉદ્ઘાટન થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
એક્સ્પોમાં થરાદની પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ મોટા બિઝનેસમેનોએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારના સ્ટોલ, ઉત્પાદનો અને સેવાઓના પ્રદર્શન દ્વારા વેપારની નવી તકો અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ હતી. સમગ્ર એક્સ્પો દરમિયાન લાખોની સંખ્યામાં લોકોએ મુલાકાત લઈ તેનો લાભ લીધો હતો.
આ બિઝનેસ એક્સ્પોનું સફળ આયોજન પ્રેમજીભાઈ બાર એસોસિએશનના પ્રમુખ, ડો. મેહુલ નાયક, અરજણભાઈ અને સૂરજ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોના પ્રયાસોથી થરાદ બિઝનેસ એક્સ્પોએ પ્રદેશના વેપાર જગતમાં નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડી છે.




