Rajkot: રાજકોટ શહેરમાં વાહનોની લે-વેચ સંદર્ભે સૂચના

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશમાં ગુનાઈત કે આતંકી પ્રવૃત્તિઓમાં વાહનોના ઉપયોગના કિસ્સાઓને ધ્યાને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ વાહનોની લે-વેચ માટે નિયમો લાગુ કરતા આદેશો બહાર પાડ્યા છે.
જે મુજબ વાહન ખરીદનારાને બિલ આપવાનું રહેશે અને તેની સ્થળપ્રત કબજામાં રાખવાની રહેશે. ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ કે નોકરી સ્થળનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, કોઇપણ ખાતાના તરફથી મેળવેલા ઓળખ પત્રક, પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવવાનો તથા તેનો રેકોર્ડ નિભાવવાનો રહેશે.
ઉપરાંત, બીલમાં ખરીદનારનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર, વાહનનો ફ્રેમ નંબર, એન્જીન નંબર અને ચેસીસ નંબર હોવો આવશ્યક છે. સાયકલ, સ્કુટર, મોટર સાયકલ સહિત ટુ વ્હીલર તથા ફોર વ્હીલરના વેચાણકર્તા પાસે પોલીસ અધિકારી તરફથી માંગવામાં આવે ત્યારે જરૂરી માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાના રહેશે.
આ આદેશ તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


