યાત્રાધામ પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટ્યો,દુર્ઘટનામાં 6 શ્રમિકોના નીપજ્યા મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૯.૨૦૨૫
હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આજે માલ વાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતાં કરૂણ બનાવ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ, શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો.આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા, ત્યારે ગુડ્સ રોપ વે ના ટાવર માં તકનિકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નિપજ્યાં હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળે છે.મૃતદેહોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા પોલીસ વડા પાવાગઢ ખાતે ઘટના સ્થળે પહોચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.આ દુર્ઘટના એ સમયે બની છે, જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી હતી. પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો.પાવાગઢ જેવું દેશપ્રસિદ્ધ તીર્થસ્થળ હોવાથી, અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો, શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાઈ છે.











