
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લીના બોલુન્દ્રા ગામના ખેડૂત કરણસિંહ રહેવરની પ્રાકૃતિક ખેતીની સફળતાની કહાની*
*અરવલ્લીના બોલુન્દ્રાના ખેડૂત કરણસિંહ અને વીરપાલસિંહે પ્રાકૃતિક ખેતીથી લાખોની કમાણી કરી*
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા બોલુન્દ્રા ગામના ખેડૂત કરણસિંહ રહેવર અને તેમના પુત્ર વીરપાલસિંહ રહેવરે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમૃદ્ધિનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતીનો અદભૂત પ્રયોગ કરી રહ્યા છે, જેના થકી તેઓ માત્ર સવા વીઘા જમીનમાંથી દર વર્ષે રૂ. 1 લાખથી રૂ. 1.25 લાખનો નફો કમાઈ રહ્યા છે. આ સફળતા માત્ર આર્થિક ઉન્નતિ જ નહીં, પરંતુ લોકોમાં પ્રાકૃતિક પેદાશો પ્રત્યે વધતી જાગૃતિનું પણ પરિણામ છે.
42 વર્ષીય વીરપાલસિંહ રહેવર શિક્ષણમાં BRS ગ્રેજ્યુએટ છે અને હાલમાં આત્મા પ્રોજેક્ટ, અરવલ્લીમાં મોડાસા તાલુકામાં ATM (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજર) તરીકે સેવા આપે છે. નોકરીની સાથે તેઓ પોતાની સવા વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ વિના, તેઓ વિવિધ પાકો જેવા કે તુવેર, હળદર, ગલગોટા, રીંગણ, ટામેટા, લસણ અને લીલી ડુંગળીનું ઉત્પાદન કરે છે. આ પાકોનું વેચાણ તેમને નોંધપાત્ર આવક અપાવે છે, કારણ કે ગ્રાહકો સીધા તેમના ફાર્મ પરથી ઉત્પાદન ખરીદે છે.
વીરપાલસિંહ જણાવે છે કે, “આ વર્ષે મેં સવા વીઘામાં વિવિધ પાકોનું વાવેતર કર્યું, જેમાંથી માત્ર 10 ચાસમાં તુવેરની ખેતી કરી. અત્યાર સુધી 14 મણ લીલી તુવેરનું વેચાણ થયું છે, અને 12થી 15 મણ સૂકી તુવેર રૂ. 200 પ્રતિ કિલોના ભાવે વેચાવાની છે, જેમાંથી રૂ. 50,000થી રૂ. 60,000ની આવક થશે. આ ઉપરાંત, રીંગણ, ટામેટા, લીલી ડુંગળી અને લસણ જેવા પાકોમાંથી રૂ. 40,000થી રૂ. 45,000નું વેચાણ થઈ ચૂક્યું છે.” આ આંકડા તેમની સફળતાની સાક્ષી પૂરે છે.પહેલાં અનાજ અને કઠોળની ખેતી કરતા કરણસિંહ અને વીરપાલસિંહે 2020થી પ્રાકૃતિક ખેતી તરફ વળાંક લીધો, જેના પરિણામે તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો. તેઓ ફાર્મ પર આવતા ગ્રાહકોને તાજી અને શુદ્ધ પેદાશો પૂરી પાડે છે, જેના કારણે તેમની માંગ સતત વધી રહી છે. આ સફળતા દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ ખેડૂતો માટે આર્થિક રીતે પણ લાભદાયી છે. કરણસિંહ અને વીરપાલસિંહની આ કહાની બીજા ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે, જે દર્શાવે છે કે નાની જમીનમાં પણ મોટી સફળતા મેળવી શકાય છે.





