કેશોદ તાલુકાનાં રંગપુર શેરગઢ ગામને જોડતાં આઝાદી પહેલાં ના માર્ગને પાકો બનાવવા છેલ્લાં પંદરેક વર્ષથી રજુઆત માંગણી કરવામાં આવે છે ત્યારે આસપાસના ત્રણ તાલુકાનાં પાંચેક ગામોને સગવડતા પુરી પાડી શકે એમ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા વિરોધ રજુઆત કરવામાં આવે ત્યારે થોડી કામગીરી કરી એકબીજાને ખો આપી દેવામાં આવે છે. રંગપુર, શેરગઢ, કાલવાણી, ગાગેચા, મેસવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારના રહિશો ખેડૂતો પશુપાલકો રાહદારીઓ વાહનચાલકો દ્રારા પંદરેક વર્ષથી પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને રજુઆતો કરવા છતાં આજદીન સુધી ઉકેલ આવ્યો નથી. કેશોદના પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ના સમયમાં રસ્તો પહોળો કરવા જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માર્ગમાં પસાર થતાં બે વોંકળા પર કોઝવે પુલ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાઈ જતાં પક્ષપાતી વલણનો ભોગ ત્રણ તાલુકાનાં પાંચ ગામનાં લોકો હેરાન પરેશાન થાય છે. ધારાસભા, તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ની ત્રણ ચુંટણીઓ અને બે લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતાં આ વિસ્તારના આગેવાનો રહીશો નાછુટકે મતદાન નો બહિષ્કાર કરવા મજબુર બન્યાં છે. શેરગઢ રંગપુર ને જોડતો રસ્તો બનાવવા કુંભકર્ણ ની નિદ્રામાં પોઢેલા અધિકારીઓ પદાધિકારીઓ જાગશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરિયા – કેશોદ