વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પાણીપુરવઠા વિભાગનાં ભ્રષ્ટ કાર્યપાલક ઈજનેર એચ.બી.ઢીમ્મરની ખાયકી નીતિનાં પગલે ડાંગ જિલ્લાનાં પાણી પુરવઠા વિભાગની યોજનાઓ બંદરબાટ સમાન સાબિત થઈ રહી છે..
ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યાએ પણ માથુ ઊંચક્યુ હોય તેવું જણાઈ રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં મોટાભાગના ગામોમાં પીવાના પાણીની તીવ્ર તંગી જોવા મળી રહી છે.કુદરતી પરિબળોની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં માનવસર્જિત સમસ્યાઓના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.જેના પગલે ગ્રામજનો હવે સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.રાજય સરકાર દ્વારા પાણીની સમસ્યાને દૂર કરવા માટે ડાંગ જિલ્લામાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે,પરંતુ જયારથી પાણી પુરવઠા વિભાગની કચેરીમાં કાર્યપાલક ઈજનેર તરીકે એચ.બી.ઢીમ્મરે કાયમી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પાણી પુરવઠા વિભાગની અનેક યોજનાઓ બંદરબાટ સમાન અથવા તો કાગળ પર જ જોવા મળી રહી છે.કાર્યપાલક ઈજનેર એચ.બી.ઢીમરની ખાયકી નિતીનાં પગલે જીવાદોરી સમાન અનેક યોજનાઓ પડી ભાંગી છે.સાથે અમુક માથાભારે તત્વો પોતાના અંગત સ્વાર્થ માટે આ યોજનાઓમાં અવરોધ ઊભો કરી રહ્યા છે.આવો જ એક બનાવ વઘઇ તાલુકાનાં મુરંબી ગામમાં સામે આવ્યો છે.મુરંબી ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી છે અને દરેક ઘરે નળ કનેક્શન પણ આપવામાં આવ્યા છે.તેમ છતાં, ગામના લોકોને પીવા માટે પાણી મળતું નથી. જેના કારણે ગામની મહિલાઓને બે કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સરકારી યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં જે કૂવો બનાવવામાં આવ્યો છે, તે કૂવામાંથી પાણી ઉપલબ્ધ હોવા છતાં ગામ લોકોને તેનો લાભ મળી રહ્યો નથી. ગામ લોકોનો આક્ષેપ છે કે જ્યાં આ કૂવો આવેલો છે, તે ખેતરના માલિક પોતાના અંગત ઉપયોગ માટે મોટા પ્રમાણમાં પાણીનો વપરાશ કરે છે અને ગામ લોકોને પાણી આપવાની સ્પષ્ટ ના પાડી દે છે.આ માનવસર્જિત સમસ્યાના કારણે મુરંબી ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓને સવાર-સાંજ પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે, જેના કારણે તેમના રોજિંદા કામો પર પણ અસર પડી રહી છે. ગામ લોકોએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને તેમની આ માનવસર્જિત પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવવાની માંગ કરી છે.હવે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને મુરંબી ગામના લોકોને ક્યારે આ પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે છે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું. આ ઘટના ડાંગ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પાણીની સમસ્યાના નિરાકરણ માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના પ્રયાસો પર સવાલ ઊભા કરે છે.જોકે વહીવટી તંત્ર દ્વારા લોકોની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે કે પછી “ચલતા હૈ ચલને દો” નું વલણ અપનાવવામાં આવશે તે તો પ્રશ્ન જ રહ્યો.આ બાબતે પાણીપુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર એચ.બી.ઢીમરનો સંપર્ક કરતા તેઓએ વાસમો વિભાગનો સંપર્ક કરવા જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે વાસમો વિભાગનો સંપર્ક કરતા તેઓએ મુંરબી ગામનો કૂવો જૂથ પાણી પુરવઠા વિભાગનો હોવાનું જણાવ્યુ હતુ.આ કૂવો કાર્યપાલક ઈજનેર એચ.બી.ઢીમરનો હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે અધિકારીઓનાં એક બીજા પર ખો આપવાનાં પગલે લોકોની પરિસ્થિતિ જાયે તો કહા જાયેની થવા પામી છે.તેવામાં જિલ્લાનાં સમાહર્તા બેદરકાર પાણી પુરવઠા સામે લાલ આંખ કરે તે જરૂરી બની ગયુ છે..