
ફૈઝ ખત્રી…શિનોર
ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ યુવાનોનું સિસોદરા નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ કાયાવરોહણ ગામના ત્રણ યુવાનો સિસોદરા ગામે એક મસ્જિદમાં એસી સર્વિસિંગનું કામ કરવા ગયા હતા. કામ પૂર્ણ થયા બાદ તેઓ નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેય યુવાનો ડૂબી ગયા હતા.
મૃતક યુવાનોમાં મન્સૂરી ઈબ્રાહિમ યુસુફભાઈ, ઘાંચી મોઝમ્મિલ યાસીનભાઈ અને મન્સૂરી અક્રમ નૂરભાઈનો સમાવેશ થાય છે.તરવૈયાઓની ભારે શોધખોળ બાદ ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા..
આશાસ્પદ યુવાનોના આકસ્મિક મૃત્યુથી કાયાવરોહણ તથા આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.




