Navsari: ચીખલીના કુકેરી ખાતે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ‘શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ’નું ખાતમુહૂર્ત કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દીકરીઓનું શિક્ષણ એટલે સમગ્ર સમાજનો ઉલ્લેખયુક્ત વિકાસ-આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ
તા:૦૬) નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ’ ના નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે પૂજા વિધિ સાથે ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે તેમણે જણાવ્યું કે, આદિજાતિ દીકરીઓ માટે શિક્ષણ એટલે આખા સમાજને સશક્ત બનાવવા માટેનું સૌથી પ્રભાવશાળી સાધન છે.મંત્રી નરેશભાઈ પટેલે કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિની યાદ કરતાં જણાવ્યું કે, ભારતમાં સામાજિક સમાનતા અને ન્યાયના મજબૂત પાયા બાબાસાહેબ આંબેડકર દ્વારા મૂક્યા હતા. આદિજાતિ સમાજના વિકાસ માટે તેમની વિચારો આજે પણ માર્ગદર્શક છે.મંત્રી નરેશભાઈ પટેલે આદિજાતિ દીકરીઓને સંબોધતા જણાવ્યુ કે, આજના સમયમાં દીકરીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ, સાયન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. તેમણે હવે આદિજાતિ દીકરીઓ IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પણ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું કે , સરકારે આદિજાતિ બાળકો માટે અમલમાં મૂકેલી યોજનાઓ જેવી કે એકલવ્ય શાળાઓ, દૂધ સંજીવની યોજના, કન્યા શાળા , પોષણ કાર્યક્રમ, તથા શૈક્ષણિક સુવિધાઓના મજબૂતિકરણ જેવી અનેક પહેલોની વિગત આપી. તાજેતરમાં વલસાડમાં યોજાયેલા ‘ચિંતન શિબિર’માં આદિજાતિ બાળકોના પોષણ–આરોગ્ય પર ચર્ચા તથા નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, સંસ્થાએ વર્ષોથી અનેક દીકરીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય પણ સંસ્થા ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહી છે. હવે ૩૦૦ દીકરી ક્ષમતા ધરાવતી શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ નિર્માણ થશે, જેનાથી સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારોની દીકરીઓને સુરક્ષિત, સંસ્કારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ માહોલ મળશે
પ્રવચનના અંતે મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર દીકરીઓના શિક્ષણ, સક્ષમતા અને સલામતી માટે સતત કાર્યરત છે, પરંતુ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે સમગ્ર સમાજે પણ જાગૃતિ અને સહયોગ દર્શાવવો જરૂરી છે.
વાત્સલ્યધામ કેમ્પસ ખાતે યોજાયેલા આ ભવ્ય ખાતમુહૂર્ત સમારોહમાં મંત્રી નરેશભાઈ પટેલ, સંચાલક પરિમલ પરમાર , શાળાની વિદ્યાર્થિનીઓ, ટ્રસ્ટીશ્રીઓ, ગામના મહાનુભાવો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓએ પણ પૂજા–વિધિમાં ભાગ લઈ ઉત્સાહપૂર્વક નવા હોસ્ટેલના નિર્માણ માટે આશાભર્યો માહોલ સર્જ્યો.




