
નર્મદા: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી પ્રભુત્વ સ્થાપિત કરનાર વંદનાબેન ભટ્ટ
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં જનરલ બેઠક પર વંદનાબેન આઈ. ભટ્ટની ભવ્ય જીત બદલ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. ઉપલબ્ધ માહિતી મુજબ વંદનાબેનને 2,03,002 જેટલું મતમૂલ્ય પ્રાપ્ત થયું છે, જે તેમની લોકપ્રિયતા અને વકીલ સમાજમાં રહેલા અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં તેઓ અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા છે.
જાણવા મળેલ માહિતી મુજબ છેલ્લા 25 વર્ષ બાદ ભરૂચ–નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. ખાસ નોંધનીય બાબત એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે.
આ ઉપરાંત, નાના જિલ્લામાંથી આવી ભવ્ય જીત પ્રાપ્ત કરવાનો આ સમગ્ર ભારતભરમાં કદાચ પ્રથમ અને અનોખો બનાવ ગણાય છે, જે નર્મદા જિલ્લાના વકીલમિત્રોની એકતા, સંકલ્પ અને શક્તિનું જીવંત ઉદાહરણ છે.
વંદનાબેન આઈ. ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં સક્રિય નેતૃત્વ આપીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાયમાં સતત જોડાયેલા રહ્યા છે. તેમનો સેવાભાવ, વિશાળ અનુભવ અને મજબૂત નેતૃત્વ ક્ષમતા તેમને એક લોકપ્રિય અને વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ બનાવે છે. તેઓ હાલમાં Assistant Government Pleader (AGP) તરીકે પણ સેવા આપી રહ્યા છે, જે તેમની કાનૂની કુશળતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ જીત માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ નર્મદા જિલ્લાના તમામ વકીલમિત્રોની એકતા, વિશ્વાસ અને અડગ સંકલ્પની જીત છે. જિલ્લાના તમામ તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ એકમતથી પોતાના ઉમેદવારને સમર્થન આપ્યું અને આજે તેના ગૌરવપૂર્ણ પરિણામ સ્વરૂપે આ ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે.
મતદારોની સંખ્યામાં ભલે આપણે નાના હોઈએ, પરંતુ એકતા, સંકલ્પ અને આત્મવિશ્વાસમાં નર્મદા જિલ્લાના વકીલો હંમેશા અગ્રેસર રહ્યા છે—તેનો સ્પષ્ટ સંદેશ આજે સમગ્ર ગુજરાતને મળ્યો છે



