તા.૧૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બિપરજોય વાવાઝોડા સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપન તેમજ રાહત બચાવની કામગીરી અંગે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે. દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરને નોડલ તરીકે નિમણૂંક કરીને કુલ ૨૫ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વન વિભાગ દ્વારા ધરાશાયી થયેલ વૃક્ષો અને વસ્તુઓને દૂર કરવા માટે ૨૯ કુહાડી/ધારિયા/કટર, ૪૯ ત્રિકમ, ૧૩ ચેઈન-સો, ૧ ટ્રાન્સપોર્ટ વાહન/પીકઅપ વાન, ૧૦ યુનિફોર્મ જેકેટ અને બાવન (૫૨) જેટલું માનવબળ ઉપલબ્ધ સાધન સુવિધા સાથે તૈયાર છે. આ ટીમો દ્વારા ત્વરીત ધોરણે ઉપલેટા – પોરબંદર રોડ, ઉપલેટા-ભાયાવદર રોડ, ધોરાજી રેન્જમાં પીપળીયા રોડ, વાડોદર અને ભાદાજાળીયા રોડ, નાની–મરડ કલાના રોડ ઉપર સહિત વિવિધ વિસ્તારમાં ધરાશાયી થયેલ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા છે અને રાહદારીઓને રાહત આપવામાં આવી છે તેમ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટની યાદીમાં જણાવાયું છે.