જૂનાગઢ જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ ૫૪ જેટલા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
જેમાં કેશોદ સબ ડિવિઝનના ૯ પુલ જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, માંગરોળ ગ્રામ્ય વિસ્તાર, મેંદરડા તાલુકાના આઠ પુલ, વંથલીમાં ૧૨ અને વિસાવદરમાં ૨૫ પુલના ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પુલની છેલ્લી તપાસણીની તારીખ, હાલની સ્થિતિએ પુલ ફિટ છે કે અનફિટ, સામાન્ય મરામત કે વિશેષ મરામતની જરૂરિયાત છે એ તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી.
આ ટેકનિકલ સર્વે બાદ પુલ જર્જરીત જણાયે મરામત કરાવવામાં આવશે તેમજ ભયજનક પુલ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન રુટ જાહેર કરવામાં આવનાર છે. તેમજ આગામી દિવસોમાં બાકી રહેતા પુલ, બ્રિજની તપાસણી પણ હાથ ધરવામાં આવનાર છે.