Rajkot: ઘેલા સોમનાથ મંદિરના પૂજારી અને સોશિયલ મીડિયા ઈનફ્લુઅન્સર દ્વારા મતદાનની અપીલ
તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિંછીયા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો: જસદણની રેસ્ટોરન્ટમાં મતદાનના દિવસે ૭% વળતર અપાશે
Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારનો દરેક નાગરિક લોકસભાની ચૂંટણીના મહાપર્વની ઉજવણીમાં જોડાય, તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાના વડપણ હેઠળ સતત મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
જે અન્વયે ઘેલા સોમનાથ મંદિરના પૂજારીશ્રી હસુભાઈ જોશીએ મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે, જસદણ મત વિસ્તારમાં તા. ૭/૫/૨૦૨૪ના રોજ બહોળી સંખ્યામાં મતદારો મતદાન કરીને લોકશાહીના અનેરા ઉત્સવમાં ભાગીદાર બને. તેમજ સોશિયલ મીડિયા ઈનફ્લુઅન્સરશ્રી પાર્થભાઈ પરજીયા ઉર્ફે લાલભાઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર દેશના વિકાસ માટે વેકેશનમાં ફરવા નીકળી જવાના બદલે મત આપવા જવા અને ‘રાષ્ટ્રના ઘડતર માટે તમે અમૂલ્ય છો અને તમારો મત પણ અમૂલ્ય છે.’વિચારને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાં, વિંછીયા તાલુકાના વિંછીયા ગામે સત્યજીત સોસાયટીના રહેવાસીઓને મતદાન જાગૃતિ તથા ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અન્વયે મતદાન કરવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓની ભાગીદારી વધારવા તેઓને મતદાન કરવા માટે અનુરોઘ કરવામાં આવ્યો હતો. મતદાન આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને અચૂક મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ જસદણમાં આવેલી સહજાનંદ રેસ્ટોરન્ટની બંને બ્રાન્ચમાં મતદાન કરી આવનાર વ્યક્તિઓને બિલ ઉપર ૭% વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.