ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલો, સ્કૂલ પર ફેંક્યા બોમ્બ, 39ના મોત
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ ખત્મ થવાનું નામ લઇ રહ્યું નથી. આ વખતે ઇઝરાયલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસીરાત કેમ્પમાં આવેલી એક સ્કૂલને નિશાન બનાવી છે. આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 39 પેલેસ્ટાઈનના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 39 પેલેસ્ટિનિયનોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા.
ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ અનુસાર, ઇઝરાયલના ફાઇટર જેટે ઓછામાં ઓછા ત્રણ ઓર્બિટર પર વિવિધ મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ શાળામાં સેંકડો પેલેસ્ટિનિયનો હતા. એપીના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેમણે ગાઝા પટ્ટીમાં એક શાળાની અંદર ‘હમાસ પરિસર ‘ પર હુમલો કર્યો.
હમાસ સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયે શાળા પરના ઈઝરાયલના હુમલાને ભયાનક નરસંહાર ગણાવીને વખોડી કાઢી હતી. આ હુમલો ‘નાગરિકો વિરુદ્ધ કરવામાં આવેલા નરસંહારના ગુનાનો સ્પષ્ટ પુરાવો છે.’
કાર્યાલયે વધુમાં કહ્યું કે માનવતાને જોખમમાં મૂકતા ઈઝરાયલ અને અમેરિકાએ આ હુમલાઓની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. ઓફિસ અનુસાર, આ બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ ઘટના પર ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ દરમિયાન હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે નિવેદન આપ્યું છે. મોસાબે કહ્યું કે પેલેસ્ટાઈન ઈઝરાયલના વિનાશ પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે, જો પેલેસ્ટાઈનની કોઈ વ્યાખ્યા છે તો તેનો અર્થ ઈઝરાયલનો વિનાશ થશે.




