INTERNATIONAL

1300 વર્ષ જૂનું બૌદ્ધ મઠ, 200 ઈમારત રાખ, 18ના મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ હવે દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 200 થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે 27 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે.

દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહ્યું છે કે આ આગ ગયા શુક્રવારે લાગી હતી અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની ગઇ છે. હાને કહ્યું, “નુકસાન વધી રહ્યું છે. આટલી મોટી આગ પહેલા ક્યારેય જોવા મળી નથી. આ અઠવાડિયે અમારે અમારી તમામ ક્ષમતા સાથે આગને ઓલવવાનો પ્રયાસ કરવો પડશે.”

હાને કહ્યું કે ક્રૂ રાતોરાત તીવ્ર પવનને કારણે જંગલની આગને ઓલવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. બુધવારે લગભગ 4,650 ફાયર ફાઈટર્સ, સૈનિકો અને અન્ય કર્મચારીઓ લગભગ 130 હેલિકોપ્ટરની મદદથી જંગલમાં લાગેલી આગને ઓલવવાનું કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુરુવારે થોડી રાહતની અપેક્ષા છે.

સરકારના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે જણાવ્યું હતું કે આગમાં 1,300 વર્ષ જૂનો બૌદ્ધ મઠ પણ નાશ પામ્યો હતો. કોરિયા હેરિટેજ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉઇસોંગમાં લાગેલી આગને કારણે 7મી સદીમાં બનેલા ગૌંસા નામના મઠને નોંધપાત્ર નુકસાન થયું હતું. અનુમાન મુજબ, આગ અત્યાર સુધીમાં લગભગ 43,330 એકર જમીનને લપેટમાં લઈ ચૂકી છે.

Back to top button
error: Content is protected !!