7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી, 5 પુરુષ અને 15 મહિલાઓના મોત

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 9 ડિસેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના બની છે. મધ્ય જકાર્તાના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી એક સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભયાનક આગ લાગતા ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવીએ આ દુર્ઘટનામાં 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જેમાં પાંચ પુરુષ અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. કેટલાક લોકોના મોત ગુંગળામણને કારણે થયા છે.
આ ભીષણ આગ બપોરના સમયે લાગી હતી, જેના કારણે આખી ઈમારતમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા. આસપાસના લોકો અને ઓફિસ કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ અને કાર્યવાહી પોલીસના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત ઈમારતના પહેલા માળે રાખેલી બેટરીઓમાંથી થઈ હતી. કર્મચારીઓએ શરૂઆતમાં આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પર કાબૂ મેળવી શકાયો નહોતો. બેટરીઓમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈને સાતમા માળ સુધી પહોંચી ગઈ હતી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઘણા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. બચાવ કામગીરી અને મૃત્યુઆંક મીડિયા રિપોર્ટ અનુસાર, હાલ પણ કેટલાક લોકો ઇમારતની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ઇમારતની એક-એક મંજિલની સઘન તપાસ કરી રહી છે.





