INTERNATIONAL

સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં ભારતને 188 વર્ષ લાગી શકે છે. : સ્ટેનફોર્ડ યુનિવર્સિટી

ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે એક વૈશ્વિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભારત વર્તમાન ગતિથી સ્વચ્છ હવા મેળવતુ રહ્યું તો સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં ભારતને 188 વર્ષ લાગી શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ તારણ બહાર પડાયું છે. જેમાં વધુમાં દાવો કરાયો છે કે ચીન આ લક્ષ્ય માત્ર 25 વર્ષમાં જ પ્રાપ્ત કરી લેશે.

ચીનમાં અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે જેને તે વિશ્વભરના માર્કેટમાં પહોંચાડી રહ્યું છે. અનેક ઉદ્યોગો અને ફેક્ટરીઓ ધમધમી રહી હોવા છતા ચીન પ્રદૂષણ સામે પગલા લેવામાં ભારત કરતા આગળ છે જે આ સ્ટડીના તારણમાં સામે આવ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પર્યાવરણ નિષ્ણાતો દ્વારા એક તારણ બહાર પડાયું છે. જેમાં જણાવાયું છે કે ભારતને 100 ટકા સ્વચ્છ એનર્જી મેળવવામાં હજુ 188 વર્ષ લાગી શકે છે.

હાલ ભારત પ્રદૂષણ સામે જે પગલા લઇ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્ટડીમાં જણાવાયું છે કે વર્તમાન ગતિથી જો ભારત પ્રદૂષણ સામે કે સ્વચ્છ એનર્જી માટે પગલા ભરતુ રહ્યું તો 188 વર્ષ લાગશે. બીજી તરફ ચીનની ગતિ વધુ હોવાથી તેને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં માત્ર 25 વર્ષનો જ સમય લાગશે તેવો દાવો પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

સ્ટેનફોર્ડ, યુનિ. દ્વારા વિશ્વના 150 જેટલા દેશોની પ્રદૂષણની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. રિપોર્ટ મુજબ ભારતને પોતાની ઉર્જા સિસ્ટમથી હવા પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન પુરી રીતે ખતમ કરવામાં બે સદી જેટલો સમય લાગી શકે છે. જ્યારે અમેરિકા આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં 2128 સુધીનો સમય લગાવી શકે છે.

આ રિપોર્ટ એવા સમયે સામે આવી છે જ્યારે દિલ્હી સહિત કેટલાક શહેરો ભારે પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે અને સ્વચ્છ હવા મેળવવા નાગરિકો ઝઝૂમી રહ્યા છે. ભારત પહેલાથી જ વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં સામેલ છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023 મુજબ વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં 83 ભારતમાં છે. 2022માં ભારતમાં 17 લાખ લોકો માનવ સર્જિત વાયુ પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હોવાનું તારણ અગાઉ સામે આવી ચુક્યું છે.

Back to top button
error: Content is protected !!