ઇઝરાયલે ગાઝા પર કર્યો ફરીથી હુમલો, 200થી વધુ લોકો માર્યા ગયા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત આવ્યો છે. ઇઝરાયેલે ગાઝા પર મોટો હુમલો કર્યો,

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામનો આખરે અંત આવ્યો છે. આ યુદ્ધવિરામ બે મહિના સુધી ચાલ્યો, પરંતુ મંગળવારે સવારે અચાનક ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો. ગાઝા સરકારના મીડિયા કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે. આ હુમલો અચાનક નથી થયો. ઈઝરાયેલે આ અંગે અમેરિકાને અગાઉથી જ જાણ કરી દીધી હતી. પરંતુ સવાલ એ છે કે આ યુદ્ધવિરામ કેમ ચાલી ન શક્યું? ઈઝરાયલના રક્ષા મંત્રીએ આ અંગે માહિતી આપી છે. IDF ના હુમલા પછી તેમણે એક નિવેદન બહાર પાડ્યું. જેમાં તેમણે કહ્યું, ‘આજે રાત્રે આપણે ગાઝાના યુદ્ધમાં પાછા ફર્યા છીએ.’ હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાનો ઇનકાર અને IDF સૈનિકોને નુકસાન પહોંચાડવાની ધમકીઓને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે. ઇઝરાયલે ગાઝા પર એવા સમયે હુમલો કર્યો છે, જ્યારે અમેરિકા યમનમાં હૂતીઓ પર બોમ્બમારો કરી રહ્યું છે.
તેમણે કહ્યું, ‘જો હમાસ બાકીના 59 બંધકોને મુક્ત નહીં કરે તો ગાઝામાં નર્કના દરવાજા ખુલશે.’ અમે હમાસ પર એવા બળ સાથે હુમલો કરીશું જે તેણે પહેલાં ક્યારેય જોયો નહી હોય. કાત્ઝે કહ્યું કે, જ્યાં સુધી તમામ બંધકો ઘરે પરત ન ફરે અને યુદ્ધના તમામ ઉદ્દેશ્યો પૂરા ન થાય ત્યાં સુધી અમે લડાઈ બંધ કરીશું નહીં. જ્યારે હમાસે કરારની મૂળભૂત શરતોને વળગી રહેવાનો આગ્રહ રાખ્યો છે. IDF એ એક નિવેદનમાં કહ્યું, IDF અને ISA હાલમાં ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા લક્ષ્યો પર વ્યાપક હુમલાઓ કરી રહ્યા છે.




