ઝેરી દૂધ પીવાથી 16 લોકોના મોત અને અનેકની કિડની ફેલ, ડેરી માલિકની ધરપકડ

આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવારી જિલ્લાના લાલાચેરુવુ, ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગર જેવા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનાથી જ લોકો રહસ્યમય રીતે બીમાર પડવા લાગ્યા હતા. દૂધ પીધાના થોડા જ કલાકોમાં લોકોને ઉલ્ટી, અસહ્ય પેટમાં દુખાવો અને પેશાબ બંધ થઈ જવા જેવી ગંભીર સમસ્યાઓ થવા લાગી હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી કે નરસાપુરમ ગામની એક સ્થાનિક ડેરી યુનિટમાંથી સપ્લાય કરવામાં આવેલા દૂધમાં ‘એથિલિન ગ્લાયકોલ’ નામનું અત્યંત ઝેરી તત્વ ભળેલું હતું. આ એ જ પદાર્થ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે એન્ટી-ફ્રીઝ તરીકે થાય છે અને તે માનવ શરીરના અંગો, ખાસ કરીને કિડનીને કાયમી નુકસાન પહોંચાડે છે.
આ દુર્ઘટનાની શરૂઆત 22 ફેબ્રુઆરીની આસપાસ થઈ હતી, જ્યારે ૧૦૦થી વધુ પરિવારોમાં આ દૂધ પહોંચાડવામાં આવ્યું હતું. દૂધ પીનારા બાળકો અને વૃદ્ધો સહિત ૨૦થી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ જોયું કે દર્દીઓના બ્લડ યુરિયા અને સીરમ ક્રિએટિનાઈનનું સ્તર અસાધારણ રીતે વધી ગયું હતું, જે કિડની ફેલિયરનો સ્પષ્ટ સંકેત હતો. ઘણા દર્દીઓને ડાયાલિસિસ અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા. અત્યાર સુધીમાં આ ઝેરી દૂધ ૧૬ લોકોનો ભોગ લઈ ચૂક્યું છે, જે ખાદ્ય સુરક્ષાના ઈતિહાસની સૌથી ભયાનક ઘટનાઓમાંથી એક છે.
સ્થાનિક પ્રશાસન અને ફૂડ સેફ્ટી વિભાગે તાત્કાલિક હરકતમાં આવીને શંકાસ્પદ દૂધ વિક્રેતાની ધરપકડ કરી લીધી છે. ડેરી યુનિટમાંથી દૂધ, દહીં, ઘી અને પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પશુપાલન વિભાગે પશુઓના ઘાસચારા અને પાણીની પણ તપાસ શરૂ કરી છે જેથી ઝેરનું મૂળ સ્ત્રોત જાણી શકાય. હૈદરાબાદથી સિનિયર આરોગ્ય અધિકારીઓની એક ટીમ સારવાર પર દેખરેખ રાખવા માટે બોલાવવામાં આવી છે. પોલીસ દ્વારા અકુદરતી મોતના કિસ્સા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ માત્ર આંધ્રપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અંગે ચર્ચા છેડી દીધી છે. રોજિંદા જીવનમાં અનિવાર્ય ગણાતું દૂધ જ્યારે જીવલેણ બની જાય ત્યારે સામાન્ય માણસ માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારની ભેળસેળ રોકવા માટે નિયમિત તપાસ અને કડક કાયદાકીય અમલીકરણની તાતી જરૂર છે. હાલમાં આ અસરગ્રસ્ત વિસ્તારોમાં દૂધનો પુરવઠો રોકી દેવામાં આવ્યો છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. 16 લોકોના મોતે અનેક પરિવારોને ઉજ્જડ કરી દીધા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.




