ઓમાનમાં ઈરાની ડ્રોન હુમલામાં 2 ભારતીયોના મોત

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓમાનના સોહાર શહેરમાં થયેલા ડ્રોન હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ વિદેશમાં રહેલા ભારતીય સમુદાયમાં ચિંતા ફેલાવી છે અને ભારતીય સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી છે.
આ હુમલા અંગે માહિતી આપતાં Ministry of External Affairs Indiaએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કુલ 11 લોકો ઘાયલ થયા છે જેમાંથી 10 ભારતીય નાગરિકો છે. હુમલો ઓમાનના ઔદ્યોગિક શહેર સોહારમાં થયો હતો જ્યાં એક ડ્રોન ઔદ્યોગિક વિસ્તારમાં અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ થયેલા લોકોમાંમાંથી પાંચ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે અન્ય પાંચ લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય અધિકારીઓ સતત સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં રહીને ઘાયલોને જરૂરી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ઘટના અંગે માહિતી આપતાં વિદેશ મંત્રાલયના વધારાના સચિવ Asim R Mahajanએ જણાવ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે કહ્યું કે ઓમાનના સોહાર વિસ્તારમાં થયેલા આ હુમલામાં બે ભારતીયોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસ અને અન્ય અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સ્થાનિક અહેવાલો અનુસાર ડ્રોન સોહારના અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તારમાં જઈને અથડાયો હતો. આ ઘટનાના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં બે વિદેશી નાગરિકોના મોત થયા હતા, જેમાં ભારતીયો પણ સામેલ હોવાનું પછીથી સ્પષ્ટ થયું.




