દેશમાં અનેક લોકોની 50% આવક ખાણીપીણી પાછળ ખર્ચાઈ જાય છે. : RBI ગવર્નર
જેમની આવકનો 50 ટકા ખર્ચ તો ભોજન પાછળ જ થઈ જાય છે. ખાદ્યપદાર્થોનો ફુગાવો તો ઊંચો જ છે. જે મુખ્ય ફુગાવો છે, તે ઘટ્યો છે.’

RBI ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી અંગે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે ‘કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં શાકભાજી અને ખાદ્ય ચીજોની કિંમતોને અવગણીએ તો ફુગાવો ઘટ્યો છે, પરંતુ પ્રજાના દૃષ્ટિકોણથી તે બિલકુલ યોગ્ય નહીં હોય. આપણે એવા લોકોના દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂર છે, જેમની આવકનો 50 ટકા ખર્ચ તો ભોજન પાછળ જ થઈ જાય છે. ખાદ્યપદાર્થોનો ફુગાવો તો ઊંચો જ છે. જે મુખ્ય ફુગાવો છે, તે ઘટ્યો છે.’
એક ઈન્ટરવ્યૂમાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, ‘ફુગાવો ઘટે ત્યારે અનેક લોકોને વિચાર આવે છે કે, અમારો પગાર આટલો સારો છે, પરંતુ અમારે તો બે ટંકના ભોજન પાછળ જ આટલો ખર્ચ થઈ જાય છે. તો પછી સરકાર અને આરબીઆઈ કેમ મોંઘવારી ઘટી રહી હોવાનો દાવો કરે છે? તેનો જવાબ એ છે કે, ફુગાવાની ગણતરીમાં ખાદ્ય ચીજો પાછળ થતો ખર્ચ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે આપણા વપરાશ બાસ્કેટમાં 46 ટકા યોગદાન ધરાવે છે. સામાન્ય રીતે લોકો પોતાની આવકનો 50 ટકા ખર્ચ ખાદ્ય ચીજો ખરીદવા પાછળ કરે છે. તેથી મોંઘવારીની ગણતરીમાં તેની અવગણના ના થઈ શકે.’
પોલિસી રેટમાં ઘટાડા અંગે એટલે કે વ્યાજ દરોમાં ઘટાડા અંગે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, વ્યાજ દરમાં ક્યારે ઘટાડો થશે તે ભવિષ્યમાં આવનારા ડેટા પર નિર્ભર રહેશે. ફુગાવો નીચે આવી રહ્યો છે અને આરબીઆઈએ આ વર્ષ માટે 4.5 ટકા ફુગાવાનો દર નક્કી કર્યો છે. અમે આગામી છ મહિનાના ડેટાનો અભ્યાસ કરીશું. અમારું ધ્યાન મોંઘવારી પર છે જે ઘટી રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે તે 4 ટકાની નજીક આવે. જેથી વ્યાજના દરોમાં ઘટાડા માટે રાહ જોવી પડશે.




