દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના દરોમાં સરેરાશ 5%નો વધારો કરવાનો નિર્ણય

ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI દ્વારા 1 એપ્રિલ 2026થી દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના દરોમાં સરેરાશ 5%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરવામાં આવે છે અને આ વખતે પણ તે જ પ્રક્રિયા અંતર્ગત આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ વધારાથી ફોર વ્હીલર્સ, કમર્શિયલ ટ્રક, બસ અને અન્ય વાહનો માટે મુસાફરીનો ખર્ચ વધશે. ખાસ કરીને FASTag મારફતે ચુકવણી કરતા વાહનચાલકોને સીધી અસર થશે. કારણ કે દરેક ટોલ પ્લાઝા પર નવા દરો લાગુ થશે.
સરકારે ખાનગી વાહનચાલકો માટે ઉપલબ્ધ વાર્ષિક પાસની કિંમતમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી 200 ટ્રિપ માટે મળતો વાર્ષિક પાસ 3000 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જે હવે 75 રૂપિયાના વધારા સાથે 3075 રૂપિયા થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વધારો માર્ગોની જાળવણી, નવીન સુવિધાઓ ઉમેરવા અને હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે. વધતા ટ્રાફિક અને રોડના ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પ્રકારના સુધારા અને ખર્ચ વધારાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પહોંચી વળવા માટે ટોલ દરોમાં વધારો કરવો અનિવાર્ય ગણાયો છે.
આ ટોલ ટેક્સ વધારાનો સીધો પ્રભાવ સામાન્ય જનતા અને પરિવહન ક્ષેત્ર પર જોવા મળશે. રોજિંદા કામકાજ માટે હાઈવેનો ઉપયોગ કરતા લોકો માટે મુસાફરી ખર્ચ વધશે. જે તેમના માસિક બજેટને અસર કરશે. ખાસ કરીને નાના વેપારીઓ, ટ્રક માલિકો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધારો વધુ ભારરૂપ બની શકે છે. પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે માલસામાનની કિંમતમાં પણ વધારો થવાની સંભાવના છે. જે અંતે ગ્રાહકો સુધી પહોંચશે. આથી આ નિર્ણયનો પ્રભાવ માત્ર વાહનચાલકો પૂરતો મર્યાદિત નથી પરંતુ સમગ્ર આર્થિક પ્રવાહ પર તેની અસર જોવા મળી શકે છે.



