બંગાળમાં SIR લાપરવાહી- તાકાતનો દુરુપયોગ, ચૂંટણી પંચે 7 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે અગાઉ રાજ્યની મતદાર યાદીનું ખાસ ઊંડાણપૂર્વકનું સંશોધન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે અંતિમ મતદાર યાદી જાહેર કરવાની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવી દીધી છે. ત્યારબાદ ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં સામેલ સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
ચૂંટણીપંચે અધિકારીઓ વિરુદ્ધ આ કાર્યવાહી ગંભીર ભ્રષ્ટાચાર, બેદરકારી અને સત્તાના દુરુપયોગના નોંધપાત્ર પુરાવા મળ્યા બાદ ચૂંટણી પંચે અધિકારીઓ સામે આ કાર્યવાહી કરી. પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 13(c) હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને તમામ સાત અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા અને શિસ્તબદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓમાં મુર્શિદાબાદના સમસેરગંજના AERO ડૉ. સફી ઉર રહેમાન, ફરક્કાના AERO નીતિશ દાસ, મૈનાગુડીના ડાલિયા રે ચૌધરી, સુતી બ્લોકના એસકે મુર્શિદ આલમ, દક્ષિણ 24 પરગણાના કેનિંગ પુર્બો મતવિસ્તારના ARO સત્યજીત દાસ અને જોયદીપ કુંડુ અને ડેબ્રા વિધાનસભા મતવિસ્તારના સંયુક્ત BDO અને ARO દેવાશીષ બિશ્વાસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે, SIR સંબંધિત કાર્યમાં બેદરકારી દાખવનાર કોઈપણ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંચે જણાવ્યું હતું કે, આ બાબતમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં નહીં આવે. ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા, પારદર્શિતા અને કાયદાકીય ધોરણોનું પાલન સર્વોપરી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે જશે. વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં આ પંચની આ પહેલી સત્તાવાર મુલાકાત માનવામાં આવે છે.




