ખેડૂત આંદોલનના 24માં દિવસે ખેડૂત નેતા જગજીતસિંહની તબિયત લથડી

પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર અનશન પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી ગઈ હતી. અનશનના 24માં દિવસે તેઓ બેહોશ થઈ ગયા હતા. ખેડૂતોના સંગઠને કહ્યું કે ડલ્લેવાલ ઉલ્ટીને કારણે 10 મિનિટ સુધી બેહોશ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી ડલ્લેવાલ મંચ પર ભાષણ આપવામાં પણ અસમર્થ હતા. આ કારણે ડલ્લેવાલના સ્વાસ્થ્યની દેખરેખ તંબુમાં જ કરવામાં આવી રહી હતી. આજે બપોરે ડલ્લેવાલની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી અને તેઓ બેહોશ થઈ ગયા હતા. આ પછી તેમણે ત્રણથી ચાર વખત ઉલ્ટી પણ કરી હતી.
ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ છેલ્લા 24 દિવસથી અનશન પર છે. ડોકટરો દરરોજ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે, જોકે છેલ્લા ઘણા દિવસોથી તેમના શરીરનું તાપમાન સ્થિર હતું. ડોકટરો દરરોજ બીપી, સુગર અને પલ્સ ચેક કરી રહ્યા છે. અનશન પર રહેવાને કારણે સતત તેમનું શરીર નબળું પડી રહ્યું હતું.
છેલ્લા એક અઠવાડિયા પહેલા તેમનું વજન પણ 11 કિલોગ્રામ ઘટી ગયું હતું. સુપ્રીમ કોર્ટે પણ ડલ્લેવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે, પરંતુ તેઓ MSPની માગને લઈને અનશન પર અડગ છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પણ એક સમિતિની રચના કરવામાં આવી છે. 18 ડિસેમ્બરના રોજ સમિતિ અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક થવાની હતી, પરંતુ ખેડૂત સંગઠનો તેમાં સામેલ નહોતા થયા.
ડલ્લેવાલની તબિયત લથડવાના સમાચાર પર પંજાબથી ખેડૂતોને વધુ સંખ્યામાં એકજૂઠ થવાની સૂચના મળી છે. ડલ્લેવાલ ઉલ્ટી થયા પછી દસ મિનિટ સુધી બેહોશ રહ્યા હતા. ત્યારબાદ જ્યારે ખેડૂત આગેવાનોએ હાજર તબીબોની સાથે સંભાળ લીધી, ત્યારે તેઓ હોશમાં આવ્યા. હાલ ડલ્લેવાલની હાલત સ્થિર છે.
ભારતીય કિસાન પંચાયતનું એક જૂથ ગુરુવારે ખનૌરી બોર્ડર માટે રવાના થયું. ખેડૂત નેતા છત્તર સિંહ જાહરીના નેતૃત્વમાં સોનીપત રેલ્વે સ્ટેશન પર પહોંચેલા ખેડૂતોએ ટ્રેનમાં સવાર થતાં પહેલા ખેડૂત-મજૂર એકતા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ખેડૂતો ખનૌરી બોર્ડર પર પહોંચશે અને ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના સારા સ્વાસ્થ્યની કામના કરશે.
છત્તર સિંહ જાહરીએ જણાવ્યું કે, ખેડૂતોને પાક પર એમએસપીની ગેરંટી આપવાના કાયદા માટે 24 દિવસથી અનશન પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી ગઈ છે. ગુરુવારે સવારે તેઓ અચાનક બેહોશ થઈ ગયા હતા.



