વર્ષ 2011થી 2024 સુધીમાં 20.6 લાખ ભારતીયએ નાગરિકત્વ છોડી, અન્ય દેશમાં સ્થાયી થયા

તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે, દર વર્ષે 2 લાખથી વધુ ભારતીયો ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી રહ્યાં છે. વર્ષ 2011થી 2024 સુધીમાં 20.6 લાખ ભારતીયએ બીજા દેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હતું. આ પૈકી અડધા લોકો તો છેલ્લા પાંચ વર્ષમાં જ દેશ છોડીને જતા રહ્યા છે. વળી, વર્ષ 2020ની કોવિડ 19 મહામારી પછી આ ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે.
વિદેશ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, નાગરિકતા ત્યાગના કારણો દરેક વ્યક્તિ માટે અલગ અને વ્યક્તિગત છે. ઘણાં ભારતીયો ‘વ્યક્તિગત સુવિધા’ માટે વિદેશી નાગરિકતા અપનાવે છે. ભારત બેવડી નાગરિકતાની મંજૂરી આપતું નથી, એ પણ એક મુખ્ય કારણ છે. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 9 મુજબ, જો કોઈ ભારતીય સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા લે છે, તો તેની ભારતીય નાગરિકતા આપમેળે રદ થઈ જાય છે. તેથી વિદેશમાં સ્થાયી થવા ઇચ્છતા લોકોએ ભારતીય નાગરિકત્વ છોડવું પડે છે.
દેશમાં વર્ષ 1970થી ચાલી રહેલું ‘બ્રેઈન ડ્રેઈન’ (શિક્ષિત-સફળ લોકો બીજા દેશમાં સ્થાયી થઈ જાય તે) હવે નવા સ્વરૂપમાં દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ પ્રવક્તા સંજય બારુ તેમના પુસ્તક ‘સસેશન ઓફ ધ સક્સેસફૂલ: ધ ફ્લાઇટ આઉટ ઓફ ન્યૂ દિલ્હી’માં જણાવે છે કે અગાઉ ડોક્ટર-એન્જિનિયરનું સ્થળાંતર થતું, હવે શ્રીમંતો (HNIs – હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ) દેશ છોડી રહ્યાં છે. મોર્ગન સ્ટેનલીના આંકડા અનુસાર, 2014થી લગભગ 23,000 ભારતીય કરોડપતિ દેશ છોડી ગયાં છે. બારુએ આ સ્થિતિને ‘સસેશન ઓફ ધ સક્સેસફૂલ’ (સફળ લોકોનું સ્થળાંતર) નામ આપ્યું છે.
વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના કારણે દૂતાવાસો બંધ હોવાથી ભારતીયો દ્વારા નાગરિકત્વ ત્યજી દેવાની સંખ્યા ઘટીને 85,000 થઈ ગઈ હતી. પરંતુ વર્ષ 2022માં ફરી અનેક દેશોની સરહદો ખૂલતા આ આંકડો અચાનક 2 લાખ ઉપર પહોંચી ગયો. વર્ષ 2023 અને 2024માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, જે દર્શાવે છે કે આ એક કોમન ટ્રેન્ડ બની ગયો છે.
ભારત વિશ્વમાં સૌથી વધુ ‘રેમિટન્સ’ (વિદેશથી મોકલેલું ધન) પ્રાપ્ત કરનારો દેશ છે. 2023માં લગભગ 125 અબજ ડોલરની આવક આ રીતે મળી હતી. પરંતુ, દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીયોનું સ્થળાંતર એ વાતનું સૂચક છે કે ભારતે પોતાની પ્રતિભા અને મૂડીને અહીં જ રોકવા માટે જીવનની ગુણવત્તા, શિક્ષણ, મૂળભૂત સુવિધાઓ અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવાની જરૂર છે.



