‘લોકશાહીમાં વિરોધ હોય તો રાજાએ આત્મમંથન કરવું જોઈએ’ : નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર એવું નિવેદન કર્યું છે જેની ચારેકોર ચર્ચા થવા લાગી છે. તેમણે કહ્યું કે લોકશાહીની સૌથી મોટી કસોટી એ છે કે શાસક વ્યક્તિ તેની વિરુદ્ધ વ્યક્ત કરાયેલા સૌથી મજબૂત અભિપ્રાયોને પણ સહન કરે. તેના માટે આત્મનિરીક્ષણ કરે.
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના વરિષ્ઠ નેતા ગડકરી MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે પુસ્તક વિમોચન સમારોહને સંબોધી રહ્યા હતા. તેમણે લેખકો અને બૌદ્ધિકોને પણ નિર્ભયપણે તેમના વિચારો વ્યક્ત કરવા કહ્યું. ગડકરીએ કહ્યું કે આજકાલ રાજકારણમાં જે કંઈ થઈ રહ્યું છે તે અન્ય સ્થળોએ પણ થયું છે. કોઈએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે. આપણા દેશમાં મતભેદ કોઈ સમસ્યા નથી, આપણી સમસ્યા એ છે કે કોઈ અભિપ્રાય વ્યક્ત નથી કરતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે ન તો જમણેરી છીએ કે ન તો ડાબેરી, અમે અવસરવાદી છીએ.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે સાહિત્યકારો, બૌદ્ધિકો અને કવિઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાના વિચારો ખુલ્લેઆમ અને મજબૂત રીતે વ્યક્ત કરે. લોકશાહીની જો કોઈ સૌથી મોટી કસોટી હોય તો તે એ છે કે જો કોઈ વિચાર રાજા વિરુદ્ધ હોય તો રાજા તેને સહન કરે અને તેનું આત્મનિરીક્ષણ કરે. એ જ વાસ્તવિક લોકશાહી કહેવાય. અગાઉ રવિવારે ગડકરી એન્જિનિયર્સ ડે પર પૂણેની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે પારદર્શકતા પર ભાર મૂક્યો અને નિર્ણયો લેવા માટે સમય મર્યાદા નક્કી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો કોઈ જાણકાર વ્યક્તિ કાયદા પાછળની ભાવના ન સમજે તો તેનો શો ફાયદો?