NATIONAL

જાણીતા શિક્ષક અવધ ઓઝા કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સામેલ

યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં જાણીતા શિક્ષક અવધ ઓઝા હવે રાજકારણમાં અખાડામાં ઉતરવા તૈયાર છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં તેમણે આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવી લીધું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા વિશે એવી અટકળો હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડી શકે છે. એવા અહેવાલો હતા કે તેઓ પ્રયાગરાજથી લોકસભાની ટિકિટ મેળવવા માટે ભાજપના સંપર્કમાં હતા. પરંતુ તે વખતે મામલો ફાઇનલ થઈ શક્યો ન હતો.

યુપીએસસીની તૈયારી કરાવતાં જાણીતા શિક્ષક અવધ ઓઝા ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે, તે એક શિક્ષક તેમજ મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મીડિયા પર અને યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમના પાર્ટીમાં જોડાવાથી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. અવધ ઓઝાએ અનેક વખતે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!