NATIONAL

ભારતમાં લગ્નજીવનના વિવાદોને કારણે પુરુષોની આત્મહત્યાના દરમાં 82%નો વધારો : NCRB

ભારતમાં બદલાતી સામાજિક પરિસ્થિતિઓ અને કૌટુંબિક તણાવની વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા દર્શાવે છે કે દેશમાં લગ્ન સંબંધિત વિવાદો અથવા પત્ની સાથેના અણબનાવને કારણે આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક દાયકામાં આ આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે, જે વર્તમાન કૌટુંબિક વ્યવસ્થા સામે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે.

NCRBના અહેવાલ મુજબ, વર્ષ 2015માં લગ્નજીવનના વિવાદોને કારણે આશરે 2,497 પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે વર્ષ 2024-25 સુધીમાં આ આંકડો વધીને 4,536 પર પહોંચી ગયો છે. પરિણીત પુરુષોની આત્મહત્યાના આ દરમાં રેકોર્ડ 82%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે ઘરેલું અને માનસિક સમસ્યાઓ પુરુષોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે. આ પરિસ્થિતિમાં પુરુષોના માનસિક સ્વાસ્થ્યને સમજવું અત્યંત મહત્ત્વનું બની ગયું છે.

અગાઉના રેકોર્ડ્સ પર નજર કરીએ તો, લગ્ન સંબંધિત બાબતોમાં પુરુષો કરતાં મહિલાઓના આત્મહત્યાના કેસ વધુ જોવા મળતા હતા. પરંતુ વર્ષ 2022માં આ આખો આંકડો પલટાઈ ગયો હતો. વર્ષ 2024માં પણ આ ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો છે, જ્યાં લગ્નજીવનના કલેશના કારણે મહિલાઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરી રહ્યા છે.

વર્ષ 2024માં લગ્ન સંબંધિત વિવાદોને કારણે કુલ 8,524 લોકોએ આત્મહત્યા કરી હતી. આ કુલ કેસમાંથી 4,536 એટલે કે આશરે 53% પુરુષો હતા, જ્યારે 3,986 એટલે કે આશરે 46% મહિલાઓ હતી. જો વર્ષ 2015ની વાત કરીએ તો તે સમયે આત્મહત્યા કરનારી મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ 61% જેટલી વધારે હતી, જે હવે સંપૂર્ણપણે ઉલટી થઈ ગઈ છે.

આ અહેવાલમાં ઉંમરને લઈને પણ એક ચોક્કસ તારણ સામે આવ્યું છે. 18થી 30 વર્ષની નાની ઉંમરમાં આત્મહત્યા કરવાના કિસ્સામાં મહિલાઓની સંખ્યા વધુ છે. વર્ષ 2024માં આત્મહત્યા કરનારી મહિલાઓમાંથી આશરે બે-તૃતીયાંશ મહિલાઓ 30 વર્ષથી ઓછી ઉંમરની હતી. બીજી તરફ, પુરુષોમાં આ ટ્રેન્ડ તદ્દન અલગ છે. આત્મહત્યા કરનારા અડધાથી વધુ પુરુષો 30 વર્ષથી વધુ ઉંમરના હતા, જેમાં 40% પુરુષો 30થી 45 વર્ષની વયજૂથના હતા.

રિપોર્ટના આંકડા અનુસાર, દેશમાં લગ્નજીવન અથવા પતિ-પત્ની વચ્ચેના વિવાદોના કારણે દરરોજ સરેરાશ 23થી 24 લોકો આત્મહત્યા કરે છે. આ દૈનિક સરેરાશમાં 12 પુરુષો અને 11 મહિલાઓનો સમાવેશ થાય છે. પુરુષોની વિગતો જોઈએ તો, દરરોજ 30 વર્ષથી ઓછી ઉંમરના 5 પુરુષો અને 30 વર્ષથી વધુ ઉંમરના 6 પુરુષો કૌટુંબિક વિવાદોના કારણે મોતને વહાલું કરે છે. વર્ષ 2019થી 2024 સુધીના 5 વર્ષ ગાળામાં આ રીતે આત્મહત્યા કરનારાઓની કુલ સંખ્યા 24,335 પર પહોંચી ગઈ છે.

લગ્નજીવન તૂટવા પાછળ અથવા આ પ્રકારનું ગંભીર પગલું ભરવા પાછળ મુખ્યત્વે દહેજ પ્રથા, લગ્નેતર સંબંધો અને છૂટાછેડા જેવા સામાજિક દૂષણો જવાબદાર છે. વર્ષ 2024માં નોંધાયેલા આત્મહત્યાના 8,534 કેસમાંથી 3,052 કેસ એવા હતા, જેમાં લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે પરસ્પર સામંજસ્ય ન બેસી શકવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. આ સિવાય, લગ્નેતર સંબંધોના કારણે થતી આત્મહત્યાના દરમાં પણ પાછલા વર્ષોની સરખામણીએ મોટો વધારો થયો છે.

રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો લગ્નજીવનના વિવાદોમાં આત્મહત્યાના મામલે ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં લગ્ન પછી પરસ્પર તાલમેલ ન જળવાવાને કારણે કુલ 764 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 394 પુરુષો અને 370 મહિલાઓ સામેલ હતી. આ યાદીમાં ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે, જ્યાં આવા પારિવારિક વિવાદોને કારણે 421 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!