NATIONAL

લગ્નના ઝઘડામાં પુરુષો પણ ક્રૂરતાનો શિકાર બને છે : હાઈકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતાં કહ્યું કે લગ્નના ઝઘડામાં પુરુષ પણ ક્રૂરતા અને શોષણનો શિકાર બને છે. બેન્ચે કહ્યું કે આ વાત યોગ્ય છે કે મુખ્યરીતે મહિલાઓ જ લગ્નના વિવાદોમાં પ્રભાવિત થાય છે પરંતુ પુરુષો પર પણ ક્રૂરતા થાય છે. તેથી હવે વિચારસરણી બદલવાની જરૂર છે. હવે તે સમય છે જ્યારે આપણે જેન્ડર ન્યૂટ્રલ સમાજની વાત કરીએ. 7 જાન્યુઆરીએ પસાર આદેશમાં જસ્ટિસ સી. સુમાલતાએ મહિલાની કેસ ટ્રાન્સફરની અરજી ફગાવી દીધી. મહિલાનું કહેવું હતું કે કોર્ટ મારા ઘરેથી 130 કિલોમીટર દૂર છે અને કેસની સુનાવણી માટે મને દર વખતે આવવામાં મુશ્કેલી પડે છે. આની પર કોર્ટે કહ્યું કે આ વાત સાચી છે કે મહિલાને અગવડ પડી રહી છે પરંતુ કેસ ટ્રાન્સફર થયો તો પતિને તેનાથી પણ વધુ તકલીફ પડશે. એવું એટલા માટે કેમ કે કોર્ટનું અંતર વધી જશે. તે બે સગીર બાળકોની સારસંભાળ પણ કરી રહ્યાં છે. તેમને એકલા મૂકીને દૂર મુસાફરી કરવી તેમના માટે મુશ્કેલ હશે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે લગ્નના ઝઘડામાં પુરુષ પણ ક્રૂરતાનો શિકાર બને છે. આ સાથે જ કોર્ટે મેસેજ આપ્યો કે હવે સમય આવી ગયો છે, જ્યારે સમાજને જેન્ડર ન્યૂટ્રલ હોવા વિશે વિચાર કરવો પડશે.

બેન્ચે કહ્યું, ‘બંધારણીય રીતે એક મહિલાને પુરુષના સમાન જ અધિકાર મળ્યાં છે પરંતુ સત્ય એ છે કે લગ્ન સાથે જોડાયેલા વિવાદોમાં મહિલાઓ વધુ શોષણ અને ક્રૂરતાનો શિકાર બને છે પછી એક સત્ય એ પણ છે કે પુરુષ પણ મહિલાઓની તરફથી કરવામાં આવેલી ક્રૂરતાનો શિકાર બને છે. તેથી આજે જેન્ડર ન્યૂટ્રલ સમાજની જરૂર છે. એવા સમાજની જરૂર એટલા માટે પણ છે જેથી લૈંગિક ભેદભાવથી અલગ મામલાને જોઈ શકાય.’

જોકે મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવતાં માગ કરી હતી કે હાલ તેના પતિ સાથે ડિવોર્સનો જે કેસ ચિકમંગલુરુ કોર્ટમાં ચાલી રહ્યો છે, તેને શિવમોગા જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવે. તેની પર બેન્ચે કહ્યું કે ‘તમારા પતિ તો 9 અને 7 વર્ષના બાળકોની સારસંભાળ કરી રહ્યાં છે. તેથી કેસ ટ્રાન્સર થવાથી તેમને વધુ પરેશાની થશે. તે બાળકોને સ્કુલ મોકલવાથી લઈને અન્ય જવાબદારીઓ સંભાળે છે. કોર્ટે કહ્યું કે અમે માત્ર એટલા માટે કેસને ટ્રાન્સફર ન કરી શકીએ કે આ એક મહિલાની માગ છે. એ સત્ય છે કે મહિલાઓની જેમ પુરુષ પણ ઘણી વખત ક્રૂરતાનો શિકાર થાય છે.

Back to top button
error: Content is protected !!