NATIONAL

મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ

મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે(SEC) એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઉમેદવારો બિનહરીફ  ચૂંટાયા છે, તેમની સામે તપાસ કરવામાં આવશે. આ આદેશને કારણે ખાસ કરીને સત્તારૂઢ ‘મહાયુતિ’ ગઠબંધનના વિજેતા ઉમેદવારોમાં ફફડાટ છે.

મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં સત્તારૂઢ ‘મહાયુતિ’ ગઠબંધનનો દબદબો જોવા મળ્યો છે, જેમાં કુલ 68 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. પક્ષવાર વિગતો પર નજર કરીએ તો, ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ 44 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના 22 અને અજિત પવારની આગેવાની હેઠળની NCPના 2 ઉમેદવારો બિનહરીફ જીતવામાં સફળ રહ્યા છે. જોકે, હવે આ તમામ બેઠકો પર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસ પાછળનું મુખ્ય કારણ એ છે કે, પંચને એવી આશંકા છે કે બિનહરીફ જીતેલા ઉમેદવારોના હરીફો પર ફોર્મ પરત ખેંચવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ લાવવામાં આવ્યું હોય અથવા તેમને કોઈ લાલચ આપીને મજબૂર કરવામાં આવ્યા હતા.

પંચ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરશે કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની સમગ્ર પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ કે નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં. આ તપાસ નિર્ણાયક છે, કારણ કે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ચૂંટણી પંચ સત્તાવાર રીતે આ બિનહરીફ વિજેતાઓના નામની જાહેરાત કરશે.

Back to top button
error: Content is protected !!