રાજ્યો દેવામાં હોવા છતાં મફતની યોજનાઓ પાછળ અઢળક નાણાં ખર્ચી રહ્યા છે : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) ચલાવતા રાજ્યોને સખત શબ્દોમાં ફટકાર લગાવી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “આખરે કરદાતા (Taxpayer) સિવાય આ યોજનાઓનો ખર્ચ બીજું કોણ ઉઠાવશે?” કોર્ટે નોંધ્યું કે ભોજન અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો બાદ હવે રાજ્યો સીધા રોકડ ટ્રાન્સફર (Direct Cash Transfer) કરવા લાગ્યા છે, જે ચિંતાજનક છે.
CJIએ ચિંતા વ્યક્ત કરી કે રાજ્યો દેવામાં હોવા છતાં મફતની યોજનાઓ પાછળ અઢળક નાણાં ખર્ચી રહ્યા છે, જેના કારણે વિકાસના કામો પર ઓછો ખર્ચ થઈ રહ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રાજ્યોએ ‘ડોલ્સ’ (મફતની રેવડી) વહેંચવાને બદલે રોજગાર નિર્માણને પ્રાથમિકતા આપવી જોઈએ. નાણાકીય સમજદારી પર ભાર મૂકતા કોર્ટે કહ્યું કે આર્થિક સંતુલન જાળવવું દેશના ભવિષ્ય માટે અનિવાર્ય છે.
સીજેઆઈએ આ મામલે કહ્યું કે હવે વિકાસ પાછળ ઓછો ખર્ચો થાય છે. હવે તો મફતમાં ભોજન, મફત સાઇકલ અને મફત વીજળીઓ આપવામાં આવી રહી છે. એવા દિવસો આવી ગયા છે કે હવે તો સીધી રોકડ ટ્રાન્સફર થાય છે. અનેક રાજ્યો છે જે ખોટમાં જઈ રહ્યા છે અને દેવામાં છે તેમ છતાં કલ્યાણકારી યોજનાઓનું વિસ્તરણ કરી રહ્યા છે. કોર્ટ માને છે કે કર્મચારીઓના પગાર અને મફતની સુવિધાઓનું ભારણ એટલું વધી ગયું છે કે જરૂરી વિકાસ માટેના ફંડ પણ ખતમ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે એક વર્ષમાં કમાયેલી સરકારી આવકનો 25 ટકા હિસ્સો વિકાસ પાછળ કેમ ન ખર્ચી શકાય?
સુપ્રીમ કોર્ટ તમિલનાડુ વિદ્યુત વિતરણ નિગમ વિરુદ્ધ ભારત સરકારના કેસ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે નિગમને ગ્રાહકની નાણાકીય સ્થિતિ પર ધ્યાન આપવા વિના દરેકને મફત વીજળી આપવાનો વાયદો કરવા બદલ ફિટકાર લગાવી હતી. કોર્ટે મફતની રેવડી સિસ્ટમની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે આ આર્થિક વિકાસ માટે અવરોધ સમાન બાબત છે.




