થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકા ખાતે દલિત સમાજના સર્વાંગી વિકાસ અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા બાબતે એક મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગનો મુખ્ય હેતુ દલિત સમાજના બંધારણને વધુ મજબૂત બનાવવાનો તથા સમાજમાં પ્રચલિત અયોગ્ય કુરિવાજો ખર્ચ જેવી પરંપરાઓને દૂર કરવા અંગે વિચારવિમર્શ કરવાનો હતો. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આજના સમયની જરૂરિયાત મુજબ સમાજમાં સુધારા લાવવો અનિવાર્ય બની ગયો છે.
મીટીંગ દરમિયાન લગ્નપ્રસંગોમાં થતા અતિશય ખર્ચ, દહેજપ્રથા જેવા થતા બિનજરૂરી વિધિઓ તેમજ સામાજિક એકતામાં અવરોધરૂપ બનતી પરંપરાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ કુરિવાજોને તબક્કાવાર રીતે બંધ કરવાની સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો.
સમાજના વડીલોએ યુવાનોને શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવા, નશામુક્ત સમાજ બનાવવાની દિશામાં આગળ વધવા તથા સામાજિક એકતા જાળવવા અપીલ કરી હતી. સાથે સાથે સમાજના બંધારણને અનુરૂપ ચાલવાની અને નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મીટીંગમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે સમાજ ત્યારે જ આગળ વધે જ્યારે અંદરથી સુધારો થાય. કુરિવાજો છોડીને સકારાત્મક વિચારધારા અપનાવવાથી સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ શક્ય બનશે.
અંતમાં મીટીંગ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને ભવિષ્યમાં આવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.




