આજે મલુપૂર ખાતે મલ્ટીમીડિયા રંગમંચ પર વડાપ્રધાનનું જીવન — 150 કલાકારો સાથે અનોખી રજૂઆત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વડાપ્રધાનના જીવનના વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ માન, અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં પ્રસિધ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા પ્રસ્તુતિ કરાશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિધ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે.
આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે શ્રી નરેન્દ્ર મોદીજીના જીવનનાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્ય રૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.
મુંબઈના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદુરના ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજુ થશે. મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ ‘કલારી પયાટુ’ના કલાકારો વીરરસનો વોર ડાન્સ રજુ કરશે. ભવ્ય પ્રોપ્સ અને હાઈફાઈ ટેકનીક્સથી સજ્જ ‘નમોત્સવ’ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.
સંસ્કૃતિ મંડળ,થરાદ દ્વારા સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે. દેશના પ્રધાનમંત્રીના જીવન પરના આવા રંગારંગ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા સંસ્કૃતિ મંડળ,થરાદ દ્વારા અનુરોધ કરાયો છે




