થરાદ પંથકમાં મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ વગર ચાલી રહી છે.

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ગુજરાત રાજ્યમાં દવાઓના વિતરણ અને વેચાણ અંગે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ફાર્મસી એક્ટ, ૧૯૪૮ ની કલમ ૪૨ મુજબ, મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન પર ફક્ત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ એલોપેથિક દવાઓનું વિતરણ અથવા વેચાણ કરી શકશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) અને ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) અધિનિયમ, ૨૦૨૩’ અનુસાર, કલમ ૪૨ નું ઉલ્લંઘન કરનારને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ ઉપરાંત, ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન પણ રદ અથવા સ્થગિત કરી શકાય છે.
આ નિયમોના પાલન માટે તમામ હોસ્પિટલ સત્તાવાળાઓ, ફાર્મસી અને મેડિકલ સ્ટોરના માલિકો તેમજ ફાર્માસિસ્ટને કડક સૂચના આપવામાં આવી છે કે દવાઓનું વિતરણ ફક્ત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ થવું જોઈએ.
આ અંગે ઉત્તર ગુજરાત ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન (IPA) ના પ્રમુખ અને ગુજરાતમાં હિતરક્ષક સમિતિના અધ્યક્ષ મનોજ કુમાર પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ (GSPC) દ્વારા જન વિશ્વાસ અધિનિયમ ૨૦૨૩ નો સંપૂર્ણ અમલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મનોજભાઈ પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જન વિશ્વાસ અધિનિયમ ૨૦૨૩ હેઠળ દરેક મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવા વેચવી ફરજિયાત છે. જો ફાર્માસિસ્ટની હાજરી વિના દવા વેચવામાં આવશે, તો ₹૨ લાખથી ₹૫ લાખ સુધીના દંડ અને જેલ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ અમલ બદલ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) ની ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.



