લોકસભા ચૂંટણીની જાહેરાતમાં હવે થોડો સમય જ બચ્યો છે. જોકે ચૂંટણી પંચ રાજકીય પક્ષોના વલણથી ઘણું જ પરેશાન જોવા મળી રહ્યું છે. અમુક રાજકીય પક્ષો એવા છે જેમણે ચૂંટણી પંચમાં રજીસ્ટ્રેશન તો કરાવ્યું છે પરંતુ ચૂંટણી લડતા નથી. આ પક્ષોનું નામ રાષ્ટ્રીય, નેશનલ અને અખિલ ભારતીય જેવા શબ્દોથી શરૂ થાય છે. આ પક્ષો માટે ચૂંટણી પંચે માચીસની ડબ્બી, પેન ડ્રાઈવથી લઈને લેપટોપ જેવા 197 નિશાનોની યાદી બનાવી છે. રજીસ્ટ્રેશન કરનાર પક્ષોની સંખ્યા 2000થી વધુ છે. તેમાંથી આજ સુધી ઘણા પક્ષોએ ચૂંટણી લડી નથી. જેમાંથી આશરે 400 પક્ષો પર ચૂંટણી પંચે કાર્યવાહી કરીને તેમને રજીસ્ટર્ડ પક્ષોની યાદીમાંથી હટાવી દીધા છે. તેમના ચૂંટણી ચિહ્નોને પણ છીનવી લેવામાં આવ્યા છે. આ પક્ષોને નિષ્ક્રિય જાહેર કરી દેવાય છે. આ પક્ષોએ પોતાનો વાર્ષિક અહેવાલ જમા કરાવ્યો નહોતો.
ચૂંટણી પંચે મળેલા દાનનો હિસાબ ન રાખવા અને અગાઉની ચૂંટણીઓના ખર્ચની વિગતો આપવા ન બદલ આશરે 250 પક્ષોને આપવામાં આવેલી આવકવેરા મુક્તિને નાબૂદ કરવાની ભલામણ કરી છે. કમિશનના રિપોર્ટ અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં 2800માંથી માત્ર 623 પાર્ટીઓએ જ ચૂંટણી લડી હતી. આમાં માત્ર 60 પક્ષો એવા હતા જે ગંભીરતાથી ચૂંટણી લડ્યા હતા. રાજકીય જાણકારોનું માનવું છે પક્ષોની સંખ્યા વધવા પાછળ તેનો રજીસ્ટ્રેશન નિયમ છે. આ નિયમ અનુસાર કોઈપણ પક્ષ 100 સમર્થકો સાથે દસ હજાર રૂપિયાની ફી આપીને રજીસ્ટ્રેશન કરાવી લે છે. આ સાથે જ તેને ટેક્સ સહીત તમામ રાહત મળે છે.
ચૂંટણી પંચ અનુસાર 2018-19માં 199 માન્યતા વગરના રજીસ્ટર્ડ પક્ષોને ટેક્સમાં 445 કરોડની રાહત મળી હતી. બીજી તરફ 2019-20માંથી 219 પક્ષોને ટેક્સમાં 60 કરોડની રાહત મળી હતી. જોકે પાછળથી ઓડીટ રીપોર્ટ રજુ કરવા ન બદલ આ પક્ષોને નિષ્ક્રિય યાદીમાં નાખી દેવામાં આવ્યા છે. માન્યતા વગરના 740 પક્ષોની રચના 2019 લોકસભા ચૂંટણી બાદ થઇ છે. પ્રતિનિધિત્વ કાયદા અનુસાર જો કોઈ પક્ષનું એક વખત રજીસ્ટ્રેશન થઇ જાય તો તેને રદ કરી શકાતું નથી જેને કારણે રાજકીય પક્ષોને કોઈ ડર રહેતો નથી.