ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ, રૂપાલની ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ
“તો અમે એવું માનીશું કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી” : તૃપ્તિબા રાઓલ
રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ્દ કરવાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારબાદથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યું છે. ગઈકાલે (2 એપ્રિલ) ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલની ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં.
ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર છે. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. બેઠક પહેલા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અમારી ત્રણ માંગો છે.’
પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ છે. આ બેઠકનું આમંત્રણ ન મળતા પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેમને બેઠકમાં બોલાવાયા હતા.
તૃપ્તિબા રાઓલએ કહ્યું કે, રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજપૂત સમાજ એવુ માની લેશે કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી. જ્યારે પદ્મિનીબા વાળાએ કહ્યું કે, આ લડાઈ અમારી માતા-બહેનોની અસ્મિતાની છે, ક્ષત્રિય સમાજમાં ક્યારેય બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. રૂપાલાની ટિકિટ રદ્દ થાય એ જ માગ છે, સમાધાન નહીં.
ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. પોતાના નિવેદન બદલ રુપાલાએ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ માફી માંગી ચૂક્યા છે. રાજપૂત સમાજ ક્ષમા આપવામાં માનનારો સમાજ છે. આથી રુપાલાને માફી આપવા અમે રાજપૂત કોર કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. જોકે તેમને માફી મંજુર નથી.
સંકલન સમિતિના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતિએ એક સ્વરમાં ફગાવી છે. આજની બેઠકમાં તમામને સાંભળ્યા છે એ વાત અક્ષર સહ પાર્ટી સમક્ષ રજૂ કરીશું. હવે પક્ષ નિર્ણય લેશે. હવે બીજી કોઈ બેઠક નહીં થાય.