કાલોલ તાલુકાના ઉતરેડીયા ગામે અન્દ્રખના ઝાડ ઉપર થી પડી ગયેલા ૩૦ વર્ષીય યુવાનનું કરૂણ મોત
તારીખ ૦૫/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઉતરેડીયા ગામે અન્દ્રખના ઝાડ પરથી પડી ગયેલ યુવાનનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટના અંગે કાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના ઉતરેડીયા ગામનો ૩૦ વર્ષીય યુવક અજયભાઈ વિઠ્ઠલભાઈ બારીયા પશુઓ માટે પોતાના જ ખેતરમાં આવેલ અન્દ્રખના ઝાડ પર ચઢી પાલો તોડી રહ્યો હતો તે દરમ્યાન જ ઝાડની ડાળી તૂટી પડતાં જમીન પર ઊંધા માથે પટકાયો હતો. બનાવ અંગેની જાણ તેના પરિવારને થતાં સ્થળ પર પહોંચેલા તેના પરિજનોએ માથાના અને શરીર ભાગે ગંભીર રીતે ઘાયલ યુવકને નજીકના મલાવ પ્રાથમિક કેન્દ્ર લઈ ગયા હતા.જ્યાં સારવાર મળે તે પૂર્વે ફરજ પરના તબીબી અધિકારીએ મૃત જાહેર કર્યો હતા. બનાવ અંગે કાલોલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક યુવક પોતાની પાછળ પત્ની અને બે બાળકોને રડતા છોડી જતાં પરીવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી.